પ્રયાગરાજ: જાતીય સતામણીનાં આરોપોનો સામનો કરી રહેલા અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને અલ્હાબાદ હાઈકોર્ટે રાહત આપી છે, કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી છે. હાઈકોર્ટે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આગોતરા જામીન અરજી પર સુનાવણી કર્યા બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો છે, આ સાથે હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અંતિમ આદેશ જાહેર કરવામાં ન આવે, ત્યાં સુધી તેમની ધરપકડ નહીં થઇ શકે.
ઉત્તર પ્રદેશના ઝુંસી પોલીસ સ્ટેશનમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે સગીરોના જાતીય શોષણના આરોપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તેમની વિરુદ્ધ POCSO અધિનિયમની જોગવાઈઓ અને ભારતીય ન્યાય સંહિતાની કેટલીક સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તેમના એક શિષ્ય સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તમામ આરોપો નકારી કાઢ્યા છે, તેમને આ કેસ બનાવટી ગણાવ્યો અને તેમને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સત્ય બહાર લાવવા તેઓ તેઓ નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે.
ધરપકડથી બચવા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના એક શિષ્યએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આદેશ અનામત રાખ્યો હતો, આ સાથે ધરપકડ પર પણ રોક લગાવી હતી.
કોર્ટે બંને પક્ષોને લેખિત દલીલો રજૂ કરવા માટે સમય આપ્યો છે. કોર્ટે એક પણ કહ્યું કે આદેશ જાહેર કરવામાં વધુ સમય નહીં લે, પરંતુ તમામ રેકોર્ડની કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવશે. કોર્ટે આવી અવિમુક્તેશ્વરાનંદને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.