ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલથી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી મળી હતી. ધમકીના પગલે વિધાનસભાની કાર્યવાહી 9 વાગે શરૂ નહોતી થઈ. ધારાસભ્યો અને પ્રધાનોને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા. બોમ્બ સ્કવોડ અને પોલીસે પહોંચી તપાસ શરૂ કરી છે.
બે દિવસ પહેલા ગાંધીનગરમાં આવેલા કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સેક્ટર-10 સ્થિત આ ભવનના તોલ-માપ વિભાગને ઈમેલ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી.
કર્મયોગી ભવનના બ્લોક નંબર 2માં આવેલી તોલ-માપ વિભાગની કચેરીમાં એક અનામી ઈમેલ આવ્યો હતો, જેમાં ભવનને ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. જેને લઈને કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે તમામ કર્મચારીઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી આવ્યા હતા અને આખું કેમ્પસ ખાલી કરી દેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોઈને કોઈ જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાસપોર્ટ ઓફિસ, સ્કૂલો, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.