ગાંધીનગર: ગુજરાતના વન વિભાગે વાઘ, ચિત્તા અને દીપડા માટે અલગ કોરિડોર બનાવવાની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વાઘ અને દીપડા માટેનો કોરિડોર ઉત્તર ગુજરાતના અરવલ્લીથી દક્ષિણ ગુજરાતના ડાંગ સુધી બનાવવાની દરખાસ્ત છે. જ્યારે ચિત્તા માટેનો કોરિડોર કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં તૈયાર કરાશે.
ગીર અભયારણ્યમાં એશિયાટિક સિંહો પહેલેથી જ સ્થાયી થયેલા છે. ઉપરાંત રાજ્યમાં ઘણા સમયથી વાઘ પણ વસવાટ કરી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં દીપડાઓની વસ્તી પહેલેથી જ નોંધપાત્ર પ્રમાણમાં છે. ચિત્તાના આગમન સાથે ગુજરાત તમામ મુખ્ય બિગ કેટ્સ હોય તેવું પ્રથમ રાજ્ય બનશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંહોની સાથે વાઘ, ચિત્તા અને દીપડા માટે પણ ગુજરાતને ઘર તરીકે વિકસાવવાનું વિઝન રાખ્યું છે. જે આ પ્રાણીઓ માટે કુદરતી રહેઠાણ બની શકે તેવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા શિકારનો આધાર વધારવા તેમજ વૈજ્ઞાનિક સંરક્ષણ મોડેલ વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે. ટૂંક સમયમાં ગુજરાત વિશ્વની ચાર મોટી બિગ કેટ ધરાવતું અનોખું રાજ્ય બનશે.
શું છે આયોજન
સરકારને રજૂ કરાયેલા વન વિભાગના પ્રેઝન્ટેશન મુજબ, વાઘ અને દીપડાનો કોરિડોર અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ સુધી લંબાશે. વાઘ અને દીપડાના આ કોરિડોરમાં શિકારના આધાર માટે આશરે 45,000 ટપકાંવાળા હરણ (ચીતલ) અને 3,000 સાબરની સંખ્યા સુનિશ્ચિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ રીતે, કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના વસવાટ માટે મુખ્યત્વે કાળિયાર અને ચિંકારા સહિત 28,673 તૃણાહારી પ્રાણીઓ લાવવામાં આવશે.
બન્નીમાં ચિત્તા માટે કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરનું કામ અંતિમ તબક્કામાં
બન્નીમાં ચિત્તા માટે કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટર સ્થાપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ વર્ષના અંતમાં એક ટીમ આફ્રિકાની મુલાકાત લઈ શકે છે, જે બન્ની માટે છ જોડી ચિત્તા લાવશે. એકવાર ચિત્તા આવી ગયા પછી, ગુજરાત સિંહ, દીપડો, વાઘ અને ચિત્તા એમ ચારેય 'બિગ કેટ' ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બનશે.
પાંચ વર્ષમાં વાઘની વસ્તી વધારીને 10 સુધી લઈ જવાની યોજના
સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યમાં એક નર વાઘ છેલ્લા 14 મહિનાથી વધુ સમયથી ગુજરાતમાં છે, જે છોટા ઉદેપુર તેમજ દાહોદ જિલ્લાના રતનમહાલ અને દેવગઢ બારિયામાં જોવા મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં કોઈ માદા વાઘ નથી, પરંતુ આગામી મહિનાઓમાં માદા વાઘ લાવીને પાંચ વર્ષમાં વાઘની વસ્તી વધારીને 10 સુધી લઈ જવાની યોજના છે.
ત્રણ વર્ષમાં બન્નીના ઘાસના મેદાનોમાં 50 ચિત્તા લાવવાનો ટાર્ગેટ
સૂત્રોએ ઉમેર્યું કે વન વિભાગનું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં બન્નીના ઘાસના મેદાનોમાં 50 ચિત્તા લાવવાનું છે. કચ્છના બન્નીમાં 660 હેક્ટરનું એન્ક્લોઝર તૈયાર થઈ ગયું છે અને લાંબા ગાળે ચિત્તાઓને આ વિસ્તારમાં ખુલ્લા જંગલમાં મુક્ત કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે હાલના હર્બિવોર બ્રીડિંગ સેન્ટર્સ ઉપરાંત, પ્રસ્તાવિત કોરિડોરમાં બિગ કેટ્સ માટે પૂરતો ખોરાક મળી રહે તે હેતુથી વધુ ચાર નવા હર્બિવોર બ્રીડિંગ સેન્ટર્સ બનાવવાનું આયોજન છે.