અમદાવાદઃ ઓનલાઈન ટ્રાન્સફર પ્રક્રિયામાં ફરજિયાત આધાર પ્રમાણીકરણ સાથે જોડાયેલી ટેકનિકલ સમસ્યાઓના કારણે છેલ્લા 20 દિવસથી સમગ્ર ગુજરાતમાં વ્હીકલ ઑનરશિપ ટ્રાન્સફરની કામગીરી લગભગ બંધ થઈ ગઈ છે. આને કારણે રાજ્યની 39 પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ) માં 50,000 થી વધુ ટ્રાન્સફર અરજીઓ પેન્ડિંગ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે વાહન માલિકી ટ્રાન્સફર માટે ઓફલાઇન પ્રક્રિયા બંધ કરી દીધી છે, જેનાથી આધાર-આધારિત પ્રક્રિયા ફરજિયાત કરીને કામગીરી સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગઈ છે.
જોકે, અધિકારીઓ કહે છે કે આધાર કાર્ડ અને નોંધણી પ્રમાણપત્રો (આરસી) પરની વિગતો ઘણીવાર અલગ અલગ ફોર્મેટમાં રેકોર્ડ કરવામાં આવે છે, તેથી સિસ્ટમમાં એક મોટી અડચણ આવી રહી છે. જ્યારે આધારકાર્ડમાં સામાન્ય રીતે નામ, પિતાનું નામ અથવા અટક એક જ લાઇનમાં હોય છે , ત્યારે આરસી બુક માલિકનું નામ, અટક અને વાલીનું નામ અલગ અલગ સેક્શનમાં રેકોર્ડ કરે છે. આને લીધે મેળ ખાતો નથી, જેના કારણે ઓનલાઈન સિસ્ટમમાં ઑથેન્ટિકેશન અટકે છે, જેના પરિણામે હજારો અરજીઓ નકારવામાં આવે છે અથવા પેન્ડિંગ રહે છે.
એવું જાણવા મળ્યું છે કે આ કારણે રાજ્યભરમાં વાહનોના ટ્રાન્સફર પર અસર પડી છે, જેમાં ગુજરાતની બહારથી ખરીદેલી ઊંચી કિંમતની કારનો પણ સમાવેશ થાય છે. વિલંબથી સરકારી આવક પર પણ અસર પડી છે, કારણ કે ઑનરશિપ ટ્રાન્સફર પૂરી થઈ શકતી નથી.
પરિવહન વિભાગના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓએ મીડિયા સાથે વાત કરતા પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે છે કે ઓનલાઈન સિસ્ટમ લાગુ થાય તે પહેલાં ટેકનિકલ ખામીનો ઉકેલ લાવવો જોઈતો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો આ મુદ્દાને તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો વાહન માલિકોને વીમા નવીકરણ, પ્રદૂષણ નિયંત્રણ હેઠળ (પીયુસી) પ્રમાણપત્રો અને આરસી રેકોર્ડ સંબંધિત વધારાની નાણાકીય અને કાનૂની ગૂંચવણોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
વાહન ટ્રાન્સફર અરજીઓના વધતા જતા બેકલોગને દૂર કરવા માટે પરિવહન વિભાગે હજુ સુધી કોઈ વચગાળાનો ઉકેલ જાહેર કર્યો નથી. આ અંગે આરટીઓના સૂત્રો સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.