ગાંધીનગર: ગુજરાતમાં સતત વધી રહેલા ટુરિસ્ટ સ્પોટ અને સુવિધાના પગલે ગત વર્ષે રાજ્યમાં 22.27 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આ ઉપરાંત વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં રાજ્ય દેશના ત્રીજા ક્રમે રહ્યું છે. વિધાનસભા ગૃહમાં માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
યાત્રાધામોને સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટીનેશન તરીકે વિકસાવાશે
મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2001-02માં પ્રવાસનનું બજેટ માત્ર રૂ.12 કરોડ હતું. જે આજે વધીને રૂપિયા 2101.02 કરોડ થયું છે. જ્યારે સમગ્ર પ્રવાસન પ્રભાગ એટલે કે, પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડ્યન અને યાત્રાધામ વિકાસ માટે કુલ રૂ. 3089. 63 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના યાત્રાધામોને હવે ‘સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટીનેશન’ તરીકે વિકસાવીને ગુજરાતને શ્રેષ્ઠ યજમાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે.
ગુજરાત પ્રવાસન એડવાઇઝરી કાઉન્સિલની સ્થાપના
પ્રવાસન ક્ષેત્રે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા તેમજ પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા રાજ્ય સરકારે મહેસાણા અને રાજકોટ સમિટ દ્વારા મોટા પાયે MoU કર્યા છે. તેમણે આ સંદર્ભે ઉમેર્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે મહેસાણા VGRCમાં રૂ. 1236 કરોડના રોકાણ તથા કચ્છ-રાજકોટ VGRCમાં રૂ. 1527 કરોડના સૂચિત રોકાણ માટે MoU કરવામાં આવ્યા છે. આ ઉપરાંત PPP મોડ અને કોર્પોરેટ કાર્યશૈલી માટે ચાલુ વર્ષના બજેટમાં 'ગુજરાત-ટુર ડેવલપમેન્ટ કંપની' (SPV) અને “ગુજરાત પ્રવાસન એડવાઇઝરી કાઉન્સિલ”ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મંત્રીશ્રીએ કહ્યું કે, સોમનાથ મંદિર પરના પ્રથમ આક્રમણના 1000 વર્ષ અને સરદાર પટેલના જીર્ણોદ્ધાર સંકલ્પના 75 વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર દેશ આ શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે તાજેતરમાં જ "સોમનાથ સ્વાભિમાન પર્વ" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણ મહોત્સવ, સાપુતારા મોન્સુન ફેસ્ટીવલ અને માધવપુર મેળાનું ઐતિહાસિક આયોજન કર્યું હતું.\
મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે રૂ. 15 કરોડ ફાળવણી
મંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં તેમની શાળા N.K. હાઈસ્કૂલ-નડિયાદને હેરિટેજનો દરજ્જો આપીને વિકસાવવા માટે રૂ. 5 કરોડની જોગવાઈ કરાઈ છે.જૂનાગઢ ખાતે યોજાતા મહાશિવરાત્રીના ભવ્ય મેળાને ગુજરાતનો કુંભ મેળો ગણાવતા મંત્રીએ કહ્યું હતું કે, ગિરનારની તળેટીમાં ભરાતા પરંપરાગત મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે રૂ. 15 કરોડ ફાળવવામાં આવ્યા છે.
વિદેશી પ્રવાસીઓની પસંદગીમાં દેશમાં ત્રીજા ક્રમે
ભારત સરકારના 'ઇન્ડિયા ટુરીઝમ ડેટા કમ્પેન્ડીયમ-2025 ' મુજબ ગુજરાત આજે વિદેશી પ્રવાસીઓની પસંદગીમાં દેશમાં ત્રીજા ક્રમે છે જે રાજ્યની મજબૂત પ્રવાસન નીતિ અને સુરક્ષિત વાતાવરણની પ્રતીતિ કરાવે છે,