ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ ભરતી દોડ, લગ્ન પ્રસંગે દાંડીયા રાસ સહિતની અનેક ઘટનામાં યુવાનોના હૃદયરોગથી મોતની ઘટના સામે આવી ચુકી છે. કોરોના પછી નાની વયના લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે. યુવાનોમાં વધી રહેલા હૃદયરોગનો પ્રશ્ન ગુજરાત વિધાનસભામાં ગાજ્યો હતો.
કોણે પૂછ્યો પ્રશ્ન
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ નાની વયના લોકોમાં હૃદયરોગમાં વધારો થયો છે તે હકીકત સાચી છે? જો હા તો તેને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર દ્વારા સંશોધન-પરિક્ષણનું આયોજન છે કે કેમ અને જો હા, તો આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે શું કાર્યવાહી હાથ ધરી છે?
જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, ઉપલબ્ધ તબીબી સંશોધન મુજબ રાજ્યમાં નાની વયના લોકોમાં હૃદયરોગમાં વધારો થયો છે તે હકીકત સાચી છે. તેને નિયંત્રિત કરવા યુ એન મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ દ્વારા હૃદયરોગને સંશોધન/પરિક્ષણ કરવા માટે વિવિધ પ્રિવેંટિવ ગતિવિધિકરવામાં આવે છે.
રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ફ્રી હેલ્થ ચેકઅપ, દર્દીના સગાની જાગૃતતા માટે નિરુજહૃદયમ કાર્યક્રમ અંતર્ગત ખાનપાન વિશે, કસરત તથા અન્ય ગતિવિધિની માહિતી આપી છે. ઉપરાંત સાવચેતી રાખવાના પગલાં વિષે માહિતી પત્રની વહેચણી કરી છે. તેમજ રેડિયો અને સમાચારપત્રમાં જાહેરાત આપીને લોકોને જાગૃત કરાયા છે.
હૃદયરોગના લક્ષણો
છાતીમાં દબાણ, દુખાવો અથવા બર્નિંગ
શ્વાસ લેવામાં તકલીફ
થાક
ચક્કર
અચાનક વજન વધવું
પગમાં સોજો
ઉબકા કે ઉલટી થવી
હૃદયરોગના જોખમને કેવી રીતે ઘટાડી શકાય
તંદુરસ્ત વજન જાળવી રાખો
નિયમિત વ્યાયામ કરો
સ્વસ્થ આહાર લો
ધ્રૂમપાન ટાળો
બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને નિયંત્રિત કરો