Fri Jun 19 2026

Logo

ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં  ૬૯ લાખ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુની સહાય સીધી થઈ જમા

2026-06-09 10:03:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં કૃષિ ક્રાંતિ અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણની દિશામાં એક નવો ઈતિહાસ રચાયો છે. 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના' (પીએમ કિસાન યોજના) હેઠળ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં, એટલે કે કુલ ૨૨ હપ્તામાં રાજ્યના ૬૯.૨૫ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુની જંગી સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે.

દેશના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, આ યોજના ભારતના કૃષિ ક્ષેત્ર માટે આર્થિક સુરક્ષા કવચ સાબિત થઈ રહી છે. રાષ્ટ્રીય સ્તરે પણ આ યોજનાનો વ્યાપ અભૂતપૂર્વ રહ્યો છે, જે અંતર્ગત દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૪.૨૭ લાખ કરોડથી પણ વધુની સહાય ચૂકવીને દેશના અન્નદાતાને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં આ યાત્રાની શરૂઆત પ્રથમ હપ્તા વખતે રાજ્યના ૨૮.૬૫ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૫૭૨.૨૧ કરોડની ચૂકવણી સાથે થઈ હતી, જે આજે ૨૨ હપ્તાઓ પૂર્ણ થતાં સુધીમાં ૬૯.૨૫ લાખ લાભાર્થી કુટુંબો સુધી વિસ્તરી ચૂકી છે. તાજેતરમાં જ ૨૨મા હપ્તામાં ગુજરાતના ૫૦.૫૪ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. ૧,૦૧૦ કરોડથી વધુની સહાય સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે, યોજનાનો વ્યાપ અને તેની સફળતા દર વર્ષે સતત વધી રહ્યા છે, જેનાથી છેવાડાના ખેડૂત સુધી સરકારી સહાય કોઈ પણ અડચણ વગર પારદર્શી રીતે પહોંચી રહી છે.

રાજ્યના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ પીએમ કિસાન યોજના અંગે પોતાના વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાએ ધરતીપુત્રોને આર્થિક સુરક્ષા-કવચ પૂરું પાડ્યું છે. આ સહાયના કારણે નાના અને સીમાંત ખેડૂતોને ખેતીમાં જરૂરી બિયારણ, ખાતર જેવા ઈનપુટ માટે આર્થિક મદદ પ્રાપ્ત થાય છે.

સામાન્ય રીતે ખરીફ કે રવિ પાકની વાવણી સમયે ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે મોટી નાણાકીય કટોકટીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે ભૂતકાળમાં ખેડૂતો વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હતા. પરંતુ પીએમ કિસાન યોજના અંતર્ગત દર ચાર મહિનાના અંતરે અપાતો રૂ. ૨,૦૦૦નો હપ્તો ખેડૂતો માટે આર્થિક સુરક્ષા કવચ બની રહ્યો છે.

આ નાણાકીય ટેકાના કારણે ગુજરાતના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો સમયસર ઉત્તમ ગુણવત્તાનું બિયારણ લાવી શક્યા છે, જેના લીધે જમીનની ઉત્પાદકતા અને પાકની તંદુરસ્તીમાં મોટો સુધારો નોંધાયો છે. વળી, યોજનાની શરૂઆતમાં રાખવામાં આવેલી ૨ હેક્ટર સુધીની જમીન મર્યાદાને વડા પ્રધાને વ્યાપક જનહિતમાં સંપૂર્ણપણે દૂર કરી દેતાં હવે રાજ્યના તમામ જમીનધારક ખેડૂતોને આ સમાન આર્થિક ન્યાયનો લાભ મળી રહ્યો છે.

આ યોજનાની સૌથી મોટી અને પાયાની વિશેષતા એ છે કે, તેમાં વચેટિયાઓ કે ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી અને ૧૦૦ ટકા રકમ સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા અને સાચા અન્નદાતા સુધી જ લાભ પહોંચાડવા માટે સરકારે ટેક્નોલોજીનો સુદ્રઢ ઉપયોગ કર્યો છે.

આ અંતર્ગત ૧૨મા હપ્તાથી જમીનના ડિજિટલ રેકોર્ડની વેરિફિકેશન પ્રક્રિયા એટલે કે 'લેન્ડ સીડિંગ' ફરજિયાત કરવામાં આવી. ત્યારબાદ ૧૩મા હપ્તાથી બેંક ખાતા સાથે 'આધાર સીડિંગ' અને ડીબીટી પ્રક્રિયા અનિવાર્ય કરાઈ, જ્યારે ૧૫મા હપ્તાથી 'ઈ-કેવાયસી' ફરજિયાત કરવામાં આવ્યું છે. આ થ્રી-લેયર સુરક્ષા પ્રક્રિયાને કારણે વચેટિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ અને યોજનાનો લાભ માત્ર અને માત્ર સાચા ધરતીપુત્રોને જ મળી રહ્યો છે.