(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની સરહદે ગીરમાં અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા છે. જેને લઈને સરકાર અને વન વિભાગ હરકતમાં આવી ગયા છે. જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે 22 સિંહોને આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યાં હોવાનું વન વિભાગે જણાવ્યું છે. આ તમામ સિંહના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યાં હતા. વન વિભાગ દ્વારા આ સિંહોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન વન વિભાગની સાથે વનતારાના નિષ્ણાતોની ટીમ પણ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આવી ગઈ છે. સિંહોના મોત કેવી રીતે થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. સિંહોમાં સીડીવી જેવા ગંભીર રોગના લક્ષણો જોવા મળ્યાં હોવાથી આ અંગે કેન્દ્રને પણ જાણ કરવામાં આવી છે. જસાધાર રેન્જ વિસ્તારમાં સૌથી વધુ સિંહોના શંકાસ્પદ મોત થયાં હતાં. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં 9 કરતા વધુના સિંહોના મોત થયા છે. અત્યારે બાકી રહેલા સિંહોની સંભાળ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
રાજય સરકારના આદેશથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સિંહોની સંભાળ લેવા માટે વનવિભાગની દોડધામ ગાંધીનગર પીસીસીએફ ભવાની પતી, સી.એફ.રામ રતન નાલા સહિત ટીમો દોડીને જસાધાર સહિતના અલગ-અલગ એનિમલ કેર સેન્ટરની મુલાકાત કરી હતી. ગાંધીનગર પીસીસીએફ ભવાની પતીએ કહ્યું કે, અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બાકી લેબમાં મુકવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ આવે તે પછી વધારે વિગતો આપવામાં આવશે. અત્યારે 22 સિંહોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
સિંહોમાં આવેલા આ રોગના કારણે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે રોગચાળા સામે રોગ નિયંત્રણ અને સારવારના ઘનિષ્ઠ પગલાંઓ લેવાનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ મામલે ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હાઈલેવલ બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન વન પર્યાવરણ પ્રધાન અર્જૂન મોઢવાડીયાની હાજરીમાં સિંહોનું વેક્સિનેશન ટ્રીટમેન્ટ અને ડી ટીકીંગ સઘન બનાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.