Sun Apr 26 2026

Logo

જામનગરમાં 117 વર્ષના વૃદ્ધા અને ભાવનગરમાં 101 વર્ષના માજીએ કર્યું મતદાન

2026-04-26 21:00:10
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય જનતાનો અતૂટ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં શારીરિક મર્યાદાઓ હોવા છતાં વિકલાંગ, અંધ અને અતિ વૃદ્ધ મતદારોએ અદમ્ય ઉત્સાહ સાથે લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવી હતી. ભાવનગરના ગોપનાથમાં માછીમાર પરસોત્તમભાઈ વાઘેલાએ કામ પર જતાં પહેલાં નાગરિક ધર્મ નિભાવ્યો હતો, તો ભાવનગરના જ દડવા ગામે ૧૦૧ વર્ષીય અમરબેન વાઘેલા અને જામનગરના લતીપર ગામે ૧૧૭ વર્ષના વૃદ્ધાએ મતદાન કરીને પ્રેરણા પૂરી પાડી હતી.

રાજકોટમાં પણ ૯૦ વર્ષીય રાઈમા આહિર લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યારે અંધ મહિલા વિકાસ ગૃહની બહેનોએ સામૂહિક મતદાન કરીને સાબિત કરી દીધું હતું કે લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય અનન્ય છે; આમ, આ તમામ સામાન્ય નાગરિકોએ પોતાની જાગૃતિથી લોકશાહી પ્રત્યેનો અડગ વિશ્વાસ પ્રગટ કરી સૌના દિલ જીતી લીધા હતા.

 સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં લોકશાહીના પર્વ નિમિત્તે પોલીસની માનવતાના દર્શન થયા હતા, જેમાં એક દિવ્યાંગ ભાઈ પોતાનું મતદાન મથક ભૂલી જતાં સુરેન્દ્રનગર એમ્બ્યુલન્સ 112 ની ગાડીએ તેમને સન્માનપૂર્વક સાચા બૂથ સુધી પહોંચાડી મતદાન કરવામાં મદદ કરી હતી; એટલું જ નહીં, ચાલવામાં અસમર્થ એવા આ વિકલાંગ મતદારને પોલીસ જવાનોએ અત્યંત સંવેદનશીલતા દાખવી પોતાના ખભા પર બેસાડી મતદાન મથક સુધી લઈ જઈને તેમનો મતાધિકાર પૂર્ણ કરાવ્યો હતો.