Sat Jun 20 2026

Logo

લંડનમાં બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, ડ્રાઇવરનું મોત, 80થી વધુ ઘાયલ, બેડફોર્ડ વિસ્તારમાં થઇ દુર્ઘટના

London   2026-06-20 14:49:00
Author: Mumbai Samachar Team
Article Image

લંડનમાં બે ટ્રેનો એકબીજા સાથે ટકરાતા 80થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને ટ્રેનના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોમાં 11 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. જ્યારે અન્ય 22 લોકોને પણ ગંભીર ઈજાઓ થઈ છે. આ અકસ્માત લંડનના ઉત્તરી ભાગમાં આવેલા બેડફોર્ડ વિસ્તારમાં થયો હતો. અકસ્માત બાદ ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોનું રેસ્ક્યૂ (બચાવ કાર્ય) કર્યું હતું.

રેલ ટ્રેકિંગ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બંને ટ્રેનો લંડનના સેન્ટ પેનક્રાસ સ્ટેશન તરફ દક્ષિણ દિશામાં જઈ રહી હતી. બેડફોર્ડ શહેરની બહાર સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 5.15 વાગ્યે બંને ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. એક ટ્રેન ઊભી હતી અને બીજી ટ્રેને પાછળથી આવીને  ટક્કર મારી હતી. અકસ્માત સમયે ટ્રેનની ઝડપ બહુ વધારે નહોતી, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઈમરજન્સી સર્વિસે ઘટનાસ્થળે એર એમ્બ્યુલન્સ અને 'ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડ એમ્બ્યુલન્સ સર્વિસ'ની ખાસ બચાવ ટીમ સહિત ઘણી ટીમો મોકલી હતી, જેમણે ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

દરવાજાની વચ્ચેની જગ્યામાંથી બહાર નીકળ્યો મુસાફર

પીટર નેપ નામના મુસાફરે જણાવ્યું કે જ્યારે અકસ્માત થયો, ત્યારે તેઓ પાછળની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટક્કર પહેલાં કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી. નેપે કહ્યું, "એક પળ માટે એવું લાગ્યું જાણે હું સામેની સીટ સાથે ભટકાયો અને પછી મેં ધુમાડો જોયો. લોકો રડી રહ્યા હતા અને ચીસો પાડી રહ્યા હતા. બધા ખૂબ ડરેલા અને મૂંઝવણમાં હતા. હું ઊભો થયો અને જોયું કે ઘણા લોકો કંઈ બોલી શકવાની સ્થિતિમાં નહોતા, કેટલાકના પગ ઇજાગ્રસ્ત ગયા હતા. હું ટ્રેનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો; હું ઘણો પાતળો હોવાને કારણે દરવાજા વચ્ચેની જગ્યામાંથી બહાર નીકળી શક્યો હતો."

ઇમરજન્સી વાહનો વચ્ચે બેઠેલા જોવા મળ્યા લોકો

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટા અને વીડિયોમાં ડઝનબંધ લોકો જોવા મળી રહ્યા હતા. કેટલાક લોકોના હાથમાં પાટા બાંધેલા હતા, પરંતુ ઘણા લોકો એવા પણ હતા જેમને કોઈ ઈજા થઈ નહોતી. આ લોકો ટ્રેનના પાટાની બાજુમાં આવેલા રસ્તા પર ઉભેલી ઇમરજન્સી ગાડીઓની વચ્ચે ઉભેલા અને બેઠેલા હતા.

કીર સ્ટારમરે દુઃખ વ્યક્ત કર્યું

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું, "બેડફોર્ડ પાસે બે પેસેન્જર ટ્રેનોની ટક્કરના સમાચાર ખૂબ જ ચિંતાજનક છે. સૌથી પહેલા, મારી સંવેદના તે વ્યક્તિના પરિવાર સાથે છે જેણે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે, અને જેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. હું આ દુઃખદ ઘટના પર તાત્કાલિક પગલાં લેવા બદલ ઇમરજન્સી સર્વિસનો આભાર માનું છું."