ભુજઃ આદિપુર ખાતે રહેતા ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દીપેશ ત્રિપાઠીએ વ્યાજખોરોના ત્રાસથી કરેલી આત્મહત્યાના રાજ્યભરમાં ચકચારી બનેલા પ્રકરણમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા કુલ આરોપીઓની સંખ્યા હવે ૬ પર પહોંચી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આત્મહત્યા માટે મજબૂર કરવાના આ કેસમાં કુલ ૧૮ શખ્સો સામે ગુનો નોંધાયેલો છે. અગાઉ પોલીસે અલગ-અલગ સ્થળેથી ચાર આરોપીઓની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન પોલીસને મળેલી બાતમી અને પુરાવાઓના આધારે રૂપેશ કેશવ વઢિયારી (રહે. રાજકોટ) અને કલ્પેશ મુળજી ઠક્કર (રહે. આદિપુર)ને પકડી પાડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દીપેશ ત્રિવેદી આત્મહત્યા પ્રકરણમાં સંડોવાયેલા ૧૮ પૈકી અત્યાર સુધીમાં ૬ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. જોકે, હજુ પણ ૧૨ જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ ફરાર શખ્સોને શોધી કાઢવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને વિવિધ ટુકડીઓ બનાવી આગળની કવાયત હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)