Mon Jul 27 2026

Logo

સાવધાન: દૂધમાં જોખમી ‘ફોર્માલિન’ કેમિકલ ભેળવેલું હોઇ શકે છે..

2026-03-17 16:45:00
Author: Yogesh D. Patel
Article Image

Artificial Intelligence (AI) generated image


ધુળેમાં મહિલાએ ખરીદેલા દૂધમાં મૃતદેહને સડવાથી બચાવવા માટે વપરાતું કેમિકલ મળ્યું

ધુળે: દૂધની થેલીમાંથી ઇન્જેક્શન દ્વારા અમુક દૂધ કાઢી લીધા બાદ તેમાં પાણી મેળવી ભેળસેળિયું દૂધ વેચવાના કિસ્સાઓ છાસવારે બનતા હોય છે. જોકે ધુળેના કરવંદ ગામમાં મહિલાએ ખરીદેલા દૂધમાં મૃતદેહને સડવાથી બચાવવા માટે વપરાતું જોખમી ‘ફોર્માલિન’ કેમિકલ ભેળવવામાં આવ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

કરવંદ ગામમાં રહેતી લક્ષ્મીબાઇ વાઘ નામની મહિલાએ ખરીદેલા દૂધમાં કેમિકલ ભેળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા દૂધના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને દૂધમાં સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ‘ફોર્માલિન’ કેમિકલ ભેળવેલું હોવાનું જાણવા મળ્યું હતું.

પરીક્ષણ દરમિયાન સ્પષ્ટ થયું હતું કે ભેંસના દૂધમાં જરૂરી ફૅટનું પ્રમાણ પણ ઓછું હતું. સામાન્ય રીતે ભેંસના દૂધમાં પાંચ ટકા ફૅટ અપેક્ષિત હોય છે, પરંતુ નમૂનાની તપાસમાં તે 4.3 ટકા હોવાનું જોવા મળ્યું હતું. સૌથી ગંભીર બાબત એ છે કે આ દૂધમાં ‘ફોર્માલિન’ કેમિકલ મળી આવ્યું હતું, જે જાણી જોઇને ભેળવવામાં આવ્યું હોવાનું સિદ્ધ થયું હતું.

ફોર્માલિન કેમિકલ અત્યંત જોખમી હોઇ તેનો ઉપયોગ મુખ્યત્વે ઔદ્યોગિક અને તબીબી ક્ષેત્રમાં થાય છે. હોસ્પિટલ કે લેબોરેટરીમાં મૃતદેહને અથવા પ્રાણીના અવયવોને સડવાથી બચાવવા માટે ફોર્માલિનના દ્રાવણમાં રાખવામાં આવે છે. એ સિયાય ઑપરેશન થિયેટરને જંતુમુક્ત કરવા ઉપરાંત રબર, રંગ અને કાપડ ઉદ્યોગમાં પણ તેનો ઉપયોગ થાય છે.

નિષ્ણાતોના મતે કેટલાક વિક્રેતાઓ ઉનાળામાં દૂધ બગડે નહીં તે માટે તેમાં ફોર્માલિન ભેળવતા હોય છે. જો દૂધને બેથી ત્રણ દિવસ બહાર રાખવામાં આવે તો તે તાજુ દેખાય છે અને બગડતું નથી. જોકે આ ભેળસેળ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે.