Mon Apr 20 2026

Logo

ધંધુકામાં હત્યા અને ત્યારબાદની અશાંતિની તપાસ માટે એસઆઈટીની રચના

2026-04-20 20:52:43
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા અને ત્યારબાદ થયેલા કોમી વિખવાદની તપાસ કરવા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક ખાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ (એસઆઈટી)ની રચના કરી છે, જે ડીએસપી પ્રકાશ પ્રજાપતિના વડપણ નીચે કામ કરશે. 

આ અંગે પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે ચાર સભ્યોની એસઆઈટીમાં સ્થાનિક ગુના શાખા (એલસીબી) ના અધિકારીઓ અને એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થશે. ટીમને ગમારાની હત્યા અને ત્યારબાદ થયેલી હિંસા તરફ દોરી જતી ઘટનાઓના સમગ્ર ક્રમની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે ધંધુકામાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને અને ધીમે ધીમે જીવન સામાન્ય બની રહ્યું છે. 

શનિવારે મોડી રાત્રે, બે અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી હતી. પહેલી ફરિયાદ હત્યા,  ધાકધમકી અને શાંતિ ભંગ કરવાના ઇરાદાથી સંબંધિત હતી.  મૃતકના પિતરાઈ ભાઈ રાહુલ ગમારાએ એફઆઈઆર નોંધાવી હતી, જેમાં રિઝવાન મણિયાર અને સમીર અમદાનીનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું હતું. 

પોલીસે પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલાની ફરિયાદ પર ૧૨૫ ધંધુકાના રહેવાસીઓ સામે બીજી એફઆઈઆર નોંધી હતી, જેમાં ગેરકાયદે ભેગા થવા, ઘાતક હથિયારો સાથે રમખાણો કરવા, ૧ લાખ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડવા અને ગુનાહિત અતિક્રમણ સહિતના બીએનએસ હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા હતા.