Sat May 09 2026

Logo

ડાકોર રણછોડરાયજી મંદિરમાં મનોરથો હવે મોંઘા બન્યા; મનોરથોના લાગામાં વધારો

2026-05-09 16:40:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રીરણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી જેઠ અધિક માસને ધ્યાનમાં રાખીને વિવિધ ઉત્સવ મનોરથોની ન્યોછાવર રકમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર કમિટીની જાહેરાત મુજબ, તારીખ અધિક માસ દરમિયાન તેમજ અન્ય ખાસ તિથિઓ પર ઉજવવામાં આવતા મનોરથો માટે ભક્તોએ નવી નિર્ધારિત રકમ ચૂકવવાની રહેશે. આ નવી યાદીમાં મનોરથની લાગણી રકમ અને સામગ્રી ખર્ચ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિવિધ ભક્તિ સેવાઓના દરમાં વધારો જોવા મળ્યો છે.

નવી દર યાદી મુજબ, કમળ મનોરથ અને કેરી મનોરથ (નિજમંદિર) માટે કુલ 12,500  રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 7500 રૂપિયા લાગાની રકમ અને 5000 રૂપિયા સામગ્રી ખર્ચ છે. કુંજ મનોરથ, બગીચા મનોરથ, ફૂલ બંગલા અને ચિત્રહરણ મનોરથ માટે ભક્તોએ કુલ 16000 રૂપિયાની ન્યોછાવર આપવી પડશે. સૌથી વધુ રકમ તુલસી વિવાહ મનોરથ અને નંદમહોત્સવ મનોરથ માટે 56000 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

આ ઉપરાંત, દર શુક્રવાર અને અગિયારસના દિવસે કુંજ મનોરથનો લાગો હવેથી 11000 રૂપિયા લેવામાં આવશે તેવી પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મંદિર કમિટીએ મનોરથો માટેના કેટલાક કડક નિયમો પણ જાહેર કર્યા છે, જે મુજબ મનોરથનો સમય મર્યાદા વધુમાં વધુ ૪૫ મિનિટની જ રહેશે અને મનોરથી દ્વારા એક જ મનોરથ કરાવી શકાશે. શુક્રવાર અને અગિયારસ સિવાયના મનોરથો ગર્ભગૃહ કે ઘુમ્મટમાં કરવામાં આવશે તેમ મંદિર કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.