અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસર પૂર્વમાં શિવ વલ્લભ માર્ગ પર આવેલા શુકલા કમ્પાઉન્ડ નજીકની સુતાર ચાલીમાં મંગળવારે વહેલી સવારે એક ઘરમાં આગ લાગી હતી, જેમાં ૪૫ વર્ષની વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેના પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ચાલીમાં વહેલી સવારના ૬.૩૦ વાગ્યાની આસપાસ ઘરમાં આગ લાગવાની જાણ થતા આજુબાજુ રહેતા રહેવાસીઓ ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી આવ્યા હતા. આગની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં ઘરમાં રહેલું તમામ સામાન સહિત વીજળીના તાર વગેરેને બળીને ખાખ થઈ ગયા હતા.
વહેલી સવારે આગ લાગી ત્યારે ઘરમાં રહેતા ૪૫ વર્ષના જવાહર અંદર ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડે તેને ઘરની બહાર કાઢીને શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો, તે ૮૫થી ૯૦ ટકા દાઝી ગયો હોઈ તેની હાલત ચિંતાજનક હોવાનું ડૉકટરે જણાવ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.