અમરાવતીઃ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ શનિવારે એક એવું નિવેદન આપ્યું જેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. કેટલા બાળકો પેદા કરવા એ જે તે કપલનો નિર્ણય હોય શકે છે પણ જ્યારે આ બાબતે નિર્ણય કોઈ નેતા, અભિનેતા કે ધાર્મિક ક્ષેત્રમાં રહેલા બાબાઓ કરે છે ત્યારે વિવાદનો જન્મ થાય છે. આ વિષય પર ચંદ્રબાબુ નાયડુંએ ત્રીજું બાળક પેદા કરવા પર સરકાર પૈસા આપશે એવી વાત કરી દીધી. ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું હતું કે, રાજ્યમાં જે પરિવાર ત્રીજા બાળકને જન્મ આપશે એને સરકાર 30 હજાર રૂપિયા આપશે. જો ચોથા બાળકને જન્મ આપશે તો 40 હજાર રૂપિયા આપશે.શ્રીકાકુલમ જિલ્લાના નરસન્નાપેટામાં તેમણે આ વાત કહી હતી.
બીજા બાળકના જન્મ પર 25 હજાર રૂપિયા
માર્ચ 2025માં વિધાનસભાની ચૂંટણીમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સરકાર બીજા બાળકના જન્મ પર 25 હજાર રૂપિયા આપવાનું વિચારી રહી છે. આ સમયે માત્ર બીજા બાળકના જન્મ અંગે વાત કરી હતી. હવે આંધ્ર પ્રદેશ રાજ્યના આરોગ્ય મંત્રી સત્ય કુમાર યાદવે કહ્યું હતું કે, સરકારે નિર્ણય બદલી નાંખ્યો છે, આ સુવિધા હવે ત્રીજા અને ચોથા બાળકના જન્મ ઉપર પણ મળી રહેશે. સ્વર્ણ આંધ્ર-સ્વચ્છ આંધ્ર કાર્યક્રમ અંતર્ગત નાયડૂએ એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મેં એક નવો નિર્ણય કર્યો છે, ત્રીજા બાળકના જન્મ પર 30 હજાર રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર 40 હજાર રૂપિયા આપવામાં આવશે. શું આ યોગ્ય નિર્ણય છે?
વધુ જાણકારી જાહેર કરાશે
મુખ્યમંત્રીએ એ વાત પણ સ્પષ્ટ કરી કે, આ નિર્ણય અંગે સમગ્ર જાણકારી એક મહિનાની અંદર આવી જશે. મુખ્યમંત્રીએ ત્યાં સુધી કહ્યું કે, આંધ્ર પ્રદેશમાં બાળકો પેદા કરવાનો રેશિયો ઓછો થઈ રહ્યો છે.દુનિયાભરમાં એવું માનવામાં આવે છે કે, કોઈપણ રાજ્ય કે દેશની વસતી ત્યાં સુધી સ્થિર રહે છે જ્યાં સુધી મહિલા સરેરાશ 2 અથવા 1 બાળકોને જન્મ આપે. હવે આ રેશિયો ઓછો થયો તો રાજ્યની અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ શકે છે. આજે ઘણા એવા કપલ છે જે માત્ર એક જ બાળકને જન્મ આપવા માગે છે, કારણ કે એમની કમાણી વધી છે અને વિચારે છે કે, એક બાળક પૂરતું છે. આ વિચારને કારણે વસ્તી વધતી નથી. ઘણા કપલ એવું વિચારે છે કે, બાળકો બોજ છે પણ આ વિચાર ખોટો છે. બાળકો એક 'સંપત્તિ' છે.