અમદાવાદઃ સાયબરક્રાઈમ સાથે જોડાયેલા શંકાસ્પદ બેંક અકાઉન્ટને ફ્રીઝ કરી નાખવામાં આવે છે, જેને લીધે વેપારીઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બાબતે હવે કેન્દ્ર સરકારે નવી સ્ટાડર્ડ ઑપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) બહાર પાડી હતી. આ નવી એસઓપીને સુરતની જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીએ વધાવી હતી.
ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર એવા ઘણા કિસ્સા બને છે જેમાં પૂર્વસૂચના વિના જ બેંક અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હોય છે. ખાતા ફ્રીઝ કરવાની પ્રક્રિયા ઘણીવાર સમજાતી નથી અને સમય માગી લે તેવી પણ હોય છે. આથી વેપારીઓને વેપારધંધામાં તકલીફ પડે છે.
આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી સાથે જોડાયેલા વેપારીઓએ સરકારને અપીલ કરી હતી. સરકારે તેમની વાત કાને ધરી નવી એસઓપી બહાર પાડી હોવાનું તેમણે જણાવ્યું હતું. નવી એસઓપી અનુસાર ફંડને હોલ્ડ પર રાખવું, ડિજિટલ બેંકિગ સેવાઓ સ્થગિત કરવી અથવા બેંક ખાતાઓ ફ્રીઝ કરવા જેવી પ્રક્રિયા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાનૂની જોગવાઈઓનું પાલન કરવી જોઈએ.