ભુજઃ ભુજ-અંજાર હાઈવે પર ભુજોડી નજીક એક એસ.ટી વોલ્વો બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૧૪ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સદ્ભાગ્યે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી મળતી વિગતો અનુસાર, ભુજ-રાજકોટ રૂટની વોલ્વો બસ (નંબર: જીજે-૨૭-ટીજી-૧૮૩૩) મુસાફરો ભરીને રાજકોટ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ભુજોડી પુલ નજીક આવેલી આહીર કન્યા છાત્રાલય પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બલ્કર સાથે બસની જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બસના ચાલક ઈમરાન ભચુ કનાડ સહિત ૧૪ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઘાયલોની સ્થિતિ હાલ સ્થિર છે અને કોઈને ગંભીર ઈજા થઈ નથી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(ઉત્સવ વૈદ્ય)
કચ્છના પ્રખ્યાત ભુજોડી નજીક હાઈવે પર GSRTC વોલ્વો એસી બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. ભુજથી રાજકોટ જઈ રહેલી બસ સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઈવર અને અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખસેડાયા છે. જુઓ આ અકસ્માતનો લાઈવ… pic.twitter.com/opoc4VKBe2
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 2, 2026