Wed Aug 19 2026

Logo

PoKમાં તણાવ વચ્ચે જમ્મુ જશે આર્મી ચીફ, બોર્ડર વિસ્તારોની લેશે મુલાકાત

2026-08-09 14:55:30
Author: Mumbai Samachar Team
Article Image

DD


નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બળવાખોરીના સૂરો વચ્ચે ભારતીય સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠ 11 ઓગસ્ટે જમ્મુની મુલાકાત લેશે. સેના પ્રમુખની આ મુલાકાતનો હેતુ વેસ્ટર્ન કમાન્ડના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તારોની સ્થિતિનું નવેસરથી મૂલ્યાંકન કરવાનો છે. એક મહિનામાં કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સેના પ્રમુખની આ ત્રીજી મુલાકાત હશે. જનરલ સેઠ તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન જમ્મુ સેક્ટરમાં ડોમાના, અખનૂર વગેરે જેવા ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત લઈ શકે છે.

30 જૂને જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવા આર્મી ચીફ તરીકેનો પદભાર સંભાળ્યા પછી, જનરલ સેઠે 7 થી 9 જુલાઈ સુધી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શ્રીનગર અને કાશ્મીરમાં 15મી કોર હેઠળ આવતા વિસ્તારો, ઉધમપુર સ્થિત નોર્ધર્ન કમાન્ડ હેડક્વાર્ટર, નગરોટામાં 16મી કોર અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા (LoC) પર રાજૌરી, પુંછ અને સુંદરબનીના ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

જો કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં જનરલ સેઠે જે વિસ્તારોની અગાઉ મુલાકાત લીધી હતી, તે નોર્ધર્ન કમાન્ડ હેઠળ આવે છે. પરંતુ જમ્મુ ક્ષેત્રના ત્રણ જિલ્લાઓ - જમ્મુ, સાંબા અને કઠુઆ - ચંદીમંદિર (ચંડીગઢ) સ્થિત વેસ્ટર્ન કમાન્ડના નિયંત્રણ હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) મુખ્ય દળ છે, પરંતુ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) શરૂ થતી હોવાથી સેના પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

આર્મી ચીફ જમ્મુના ફોરવર્ડ વિસ્તારોનું નિરીક્ષણ કરશે

આર્મી ચીફ આ ક્ષેત્રની પોતાની એક દિવસીય મુલાકાત દરમિયાન સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જમ્મુના ફોરવર્ડ વિસ્તારોમાં સ્થિતિનો તાગ મેળવશે. તેમના ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત લેવાની અને ફિલ્ડ કમાન્ડરો સાથે વાતચીત કરવાની પણ શક્યતા છે. ત્યારબાદ તેઓ નવી દિલ્હી પરત ફરશે.

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર સ્થિતિ લગભગ સામાન્ય છે, પરંતુ એવા અહેવાલો છે કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક અશાંતિ બાદ પાકિસ્તાની સેનાએ રાજૌરી અને પુંછ સામેના વિસ્તારોમાં પોતાની હાજરી વધારી દીધી છે. PoK માં પાકિસ્તાની સેનાએ પાયાની સુવિધાઓની માંગ કરી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબારી કરી હતી, જેમાં અનેક લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા.