Sun Jul 26 2026

Logo

મેં 22 વાર ભૂખ હડતાળ કરી, ક્યારેય હિંસા ન કરી', CJPનું આંદોલન સમાપ્ત થવા પર અન્ના હજારેનું પહેલું નિવેદન

2026-07-26 13:15:00
Author: Mumbai Samachar Team
Article Image

અહિલ્યાનગર: સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ સીજેપીનું પ્રદર્શન સમાપ્ત થવા પર મોટી ટિપ્પણી કરી છે. અન્નાએ જણાવ્યું કે કોઈપણ સમસ્યાનું કાયમી સમાધાન હિંસાથી નહીં, પરંતુ શાંતિપૂર્ણ આંદોલન અને લોકશાહી સંવાદથી જ શક્ય છે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું જ્યારે કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પોતાનું 36 દિવસથી ચાલતું વિરોધ પ્રદર્શન પાછું ખેંચવાની જાહેરાત કરી.

89 વર્ષીય અન્ના હજારેએ કહ્યું કે વાતચીત જ લોકશાહીની સૌથી મોટી તાકાત છે અને દરેક વિવાદનું સમાધાન આ જ રસ્તેથી નીકળે છે. તેમણે કહ્યું કે કોઈપણ મુદ્દો વાતચીતથી ઉકેલાય છે. તણાવ પેદા કરવાથી અને ખોટા રસ્તે ચાલવાથી કશું હાંસલ થતું નથી. લોકશાહીમાં સંવાદ સૌથી જરૂરી છે.

અન્ના બોલ્યા મેં 22 વાર ભૂખ હડતાલ કરી

પોતાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો વિશે જણાવતા અન્ના હજારેએ કહ્યું કે તેમણે પોતાના જીવનમાં 22 વાર ભૂખ હડતાલ કરી, પરંતુ ક્યારેય હિંસાનો રસ્તો ન અપનાવ્યો. તેમણે કહ્યું કે મેં 22 વાર ઉપવાસ કર્યા, ક્યારેય હિંસા કરી નહીં અને તેના પરિણામે 10 કાયદા બન્યા. હિંસા કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. તેમણે સરકારોને પણ અપીલ કરી કે તેઓ જનતાના અવાજને ગંભીરતાથી સાંભળે અને જનહિતને પ્રાથમિકતા આપે. હજારેએ કહ્યું કે જો જનતાના હિતમાં આગળ આવીને આંદોલન કરવું પડે તો તે કોઇ ખોટી વસ્તુ નથી, પરંતુ આવું આંદોલન સંપૂર્ણપણે લોકશાહી રીતે થવું જોઇએ અને તે અહિંસક હોવું જોઈએ.

‘ખોટા રસ્તે ચાલવાથી કોઇ ઉકેલ નહીં આવે’

તેમણે જનતાની ફરિયાદોના સમાધાનમાં લોકશાહી અને સંવાદના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે આ લોકશાહી છે, તાનાશાહીનું શાસન નથી, અને આપણે હંમેશા લોકશાહીના માર્ગનું અનુસરણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે કોઈપણ મુદ્દો સંવાદના માધ્યમથી ઉકેલાઈ જાય છે. સંવાદથી જ સમાધાન નીકળે છે. તણાવ પેદા કરવા અને ખોટા રસ્તે ચાલવાથી કશું જ ઉકેલાશે નહીં.

‘સૌથી વધુ જરૂરી જનતાનું ભલું છે’

વધુમાં અન્ના હજારેએ એમ પણ કહ્યું કે સત્તામાં બેઠેલા લોકોએ એ જોવું જોઈએ કે જનતાની મૂળ માંગ શું છે અને તેનું ભલું શેમાં છે. તેમણે કહ્યું કે જો જનતાના ભલા માટે સરકારને બે પગલાં આગળ પણ વધવું પડે તો તેમાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે જનતાનું ભલું સૌથી વધુ જરૂરી છે.