કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચ 2026 સુધી દેશને નક્સલવાદથી મુક્ત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ત્યારે આ ડેડલાઇનના એક દિવસ પૂર્વે આંધ્રપ્રદેશમાંથી નક્સલવાદનો અંત આવ્યો હોવાનો પોલીસે દાવો કરવામાં આવ્યો છે. આજે કુખ્યાત નક્સલી નેતા સી. નારાયણ રાવ અને તેમના નવ સાથીઓએ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું છે.
સી. નારાયણ રાવ 36 વર્ષથી નકસલવાદી પ્રવુતિમાં સામેલ
આ અંગે પોલીસ વડા હરીશ કુમાર ગુપ્તાએ દાવો કર્યો હતો કે "રાજ્યમાં નકસલવાદનો અંત આવ્યો છે. તેમજ આત્મસમર્પણ કરનાર નક્સલી સી. નારાયણ રાવ 'આંધ્ર-ઓડિશા બોર્ડરનો સચિવ હતો. અને 36 વર્ષથી નકસલવાદી પ્રવુતિમાં સામેલ હતો. સી. નારાયણ રાવ અનેક જઘન્ય ગુનાઓમાં સંડોવાયેલો હતો. જેમાં વર્ષ 2018માં ધારાસભ્ય કિદારી સર્વેશ્વર રાવની હત્યા, 2001માં સીઆઈ ગાંધીની હત્યા અને 1997માં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર દાસની હત્યાનો સમાવેશ થાય છે. સી. નારાયણ રાવ 1990માં નકસલવાદી ચળવળમાં જોડાયો હતો.
આ અંગે પોલીસ વડા હરીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્રએ વચન આપ્યું હતું કે 31 માર્ચ, 2026 પહેલાં નકસલવાદનો અંત આવશે. જેની માટે અમે છેલ્લા બે વર્ષથી પ્રયાસ કરી રહ્યા હતા. તેમજ હવે આંધ્રપ્રદેશમાંથી નકસલવાદનો અંત આવ્યો છે.
ભૂગર્ભ નક્સલ કામગીરીમાં હવે એક પણ સક્રિય કેડર સામેલ નથી
હરીશ કુમાર ગુપ્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશમાં ભૂગર્ભ નક્સલ કામગીરીમાં હવે એક પણ સક્રિય કેડર સામેલ નથી. તેમણે રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી નક્સલ વિરોધી કામગીરીના સંકલિત પ્રયાસો માટે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ અને જિલ્લા પોલીસ એકમો દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાઓની પણ પ્રશંસા કરી.