નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઘણીવાર શેડ્યુલિંગમાં ખામી ઊભી થતા એવી પરિસ્થિતિ ઊભી થાય છે જે પ્રવાસીઓએ ક્યારેય કલ્પી પણ નહીં હોય. આવું જ બન્યું નવી દિલ્હીથી અમૃતસર માટે રવાના થયેલી ફ્લાઈટ સાથે ભારત-પાકિસ્તાનના સતત વણસતા અને તકરારભર્યા સંબંધને કારણે સામાન્ય રીતે ભારતીય વિમાન માટે પાકિસ્તાન અને પાકિસ્તાનના વિમાન માટે ભારતીય એરસ્પેસના દરવાજા બંધ જ રહે છે. પણ સોમવારે એક એવી ઘટના બની જેને ચિંતા વધારી દીધી હતી.
શું હતો મામલો
સોમવારે રાત્રે નવી દિલ્હી એરપોર્ટ પરથી જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ અમૃતસર માટે રવાના થઈ એ સમયે વિમાન AI-321 પોતાના રસ્તેથી ભટકીને પાકિસ્તાનની એરસ્પેસમાં ઘુસી ગયું હતું. એ પછી પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલે ચેતવણી આપીને પાછા ફરવા માટે સૂચના આપી હતી. ભારત અને પાકિસ્તાનના સંબંધમાં આવેલી ખટાશને કારણે બન્ને દેશ એકબીજાની એરસ્પેસનો ઉપયોગ કરતા નથી. હવાઈ સંપર્ક પણ નથી. ખાસ કરીને પહલગામમાં બનેલી આતંકી ઘટનાને ધ્યાને લેતા બન્ને દેશે એકબીજાની એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા માટેનો નિર્ણય કર્યો હતો. આ કારણે ભારતમાંથી રવાના થતી ઘણી ફ્લાઈટને લાંબો રૂટ પસંદ કરવાની ફરજ પડે છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-321 સોમવારે રાત્રે 9.18 વાગ્યે નવી દિલ્હીથી રવાના થઈ હતી, જે અમૃતસર સુધી જવાની હતી.
ફરીથી દિલ્હી જ પરત આવી
પણ હવામાં રસ્તો ભટકી જતા તે પાકિસ્તાનની એરસ્પેસમાં ઘુસી ગઈ હતી. પાયલટને આ અંગેની જાણકારી એ સમયે મળી જ્યારે કંટ્રોલ સિસ્ટમ પર પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલ ઓથોરિટીએ ચેતવણી આપી હતી.આ પછી સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે વિમાનને ફરી દિલ્હી આવી જવા માટે આદેશ આપ્યા હતા. આ પછી વિમાન અમૃતસરમાં લેન્ડ થવાના બદલે ફરી દિલ્હીમાં જ લેન્ડ થઈ ગયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર એક જ કલાકમાં દિલ્હીથી રવાના થયેલી આ ફ્લાઈટ અમૃતસરમાં લેન્ડ થઈ જવાની હતી. પણ રસ્તા ભટકી જવાના કારણે પાકિસ્તાનની એરસ્પેસમાં જતા સમય બગડ્યો હતો. આ પછી 11.30 વાગ્યે તે દિલ્હી પરત આવી હતી. આ પછી બે કલાક તપાસ કર્યા બાદ ફરીથી ફ્લાઈટ અમૃતસર માટે રવાના કરવામાં આવી હતી. રાત્રીના સમયે ફરીથી આ જ ફ્લાઈટ દિલ્હીથી અમૃતસર જવા માટે નીકળી હતી.
મોડી રાત્રે પહોંચી અમૃતસર
આ ફ્લાઈટ અમૃતસરના શ્રી રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2.20 વાગ્યે પહોંચી હતી.એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ફ્લાઈટ ટેકઓફ થઈ એ દરમિયાન નેવિગેશન સિસ્ટમમાં ખામી આવી ગઈ હતી આ કારણે ફ્લાઈટ રસ્તો ભટકી ગઈ હતી. એકપોર્ટ અધિકારી ભૂપેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર દોઢ માઈલ સુધી ફ્લાઈટ પાકિસ્તાનમાં અંદર જતી રહી હતી.
આ કોઈ અસામાન્ય ઘટના નથી. પાકિસ્તાનથી પરત ફરતી વખતે અમૃતસરમાં શા માટે લેન્ડ કરવા દેવામાં ન આવી, એના જવાબમાં અધિકારીએ કહ્યું કે, પરત ફરતી વખતે ફ્લાઈટ સ્ટેબલ નહોતી, તેથી દિલ્હી પરત બોલાવી દેવામાં આવી હતી.