નવી દિલ્હી : મિડલ ઇસ્ટમાં અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એર ઇન્ડિયાએ આજે દુબઈની તમામ ફલાઈટો રદ કરી છે. તેમજ જણાવ્યું છે કે એરઇન્ડિયા એકસપ્રેસની અબુ ધાબી, રસ અલ ખેમાહ અને શારજાહ માટે નિર્ધારિત ફ્લાઈટ યથાવત રહેશે. આ અંગે એર ઇન્ડિયાએ એક્સ પર લખ્યું હતું કે, દુબઈ માટેની ફ્લાઈટ રદ કરવામાં આવી. જેમાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે આવતી અને જતી તમામ ફ્લાઈટ સેવા કામચલાઉ ધોરણે બંધ કરી છે. જેના લીધે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈ જતી ફ્લાઈટ આજે રદ કરવામાં આવી છે.
અમીરાતની દુબઈ જતી ફ્લાઇટ પરત ફરી
આ ઉપરાંત સોમવારે તિરુવનંતપુરમથી દુબઈ જતી અમીરાતની ફ્લાઇટ દુબઈ એરપોર્ટ પર આગના અહેવાલો બાદ પરત ફરી હતી. ખાસ કરીને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ થયા પછી અમીરાત TRV-DXB ફ્લાઇટ રૂટ વચ્ચે જ પાછી ફરી હતી. વિમાન તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાં 353 મુસાફરો અને 19 ક્રૂ સભ્યોને લઈને, ફ્લાઇટ સવારે 4:40 વાગ્યે રવાના થઈ હતી અને સવારે 8:40 વાગ્યે પાછી ફરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોને ટર્મિનલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અચાનક બંધ
આ પૂર્વે અમીરાતની ફ્લાઇટ, EK533-જે સવારે 4:30 વાગ્યે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટથી 325 મુસાફરોને લઈને રવાના થઈ હતી. તે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અચાનક બંધ થવાને કારણે કોચી એરપોર્ટ પર પરત ઉતરી હતી.