મુંબઈ: અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનો કેપ્ટન રાશિદ ખાન ભારતમાં પણ ઘણો લોકપ્રિય છે, હાલ તે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહ્યો છે. રશીદે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રશીદે જણાવ્યું કે ભારતીય ક્રિકેટની એક વરિષ્ઠ હસ્તીએ તેને ભારતની નાકારીકતા સ્વીકારવા જણાવ્યું હતું. રશીદે જણાવ્યું કે તેણે આ ઓફર આદરપૂર્વક અસ્વીકાર કર્યો, તેણે અફઘાનિસ્તાન તરફથી જ રમવાનું પસંદ કર્યું.
રાશીદ ખાને તેની બાયોગ્રાફી ‘રાશિદ ખાન: ફ્રોમ સ્ટ્રીટ્સ ટુ સ્ટારડમ’ માં ખુલાસો કર્યો છે કે તેને ભારત અને ઓસ્ટ્રેલિયા બંને તરફથી નાગરિકતા આપવાની ઓફર મળી હતી. રાશિદે જણાવ્યું કે IPL 2023 સીઝનનો દરમિયાન ટીમના અધિકારીએ તેને કહ્યું કે ભારતીય ક્રિકેટનાં એક "વરિષ્ઠ વ્યક્તિ" તેને મળવા માંગે છે.
રાશિદે ઓફર ફગાવી:
રાશિદે કહ્યું, "હું તેમની પાસે ગયો. અમે વાત શરૂ કરી, અને તેણે કહ્યું: 'તમારા દેશ (અફઘાનિસ્તાન) માં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારતમાં આવો. અમે તમને ભારતીય દસ્તાવેજો આપીશું, અહીં રહો, અહીં ક્રિકેટ રમો.' તેમને મને જે કહ્યું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગયો અને મને ખબર ન પડી કે કેવી રીતે જવાબ આપવો. પણ મેં હસીને કહ્યું, 'ખૂબ ખૂબ આભાર. હું મારા દેશ, અફઘાનિસ્તાન માટે જ રમવ ઈચ્છું છું.'”
રાશિદે જણાવ્યું કે ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા તરફથી પણ તેને આવી જ ઓફર મળી હતી. તેણે લખ્યું, "મને ઓસ્ટ્રેલિયા અને ભારત બંને તરફથી આવી ઓફરો મળી હતી. પરંતુ મેં તેમને કહ્યું, 'જો હું મારા દેશ માટે નહીં રમું, તો હું બીજા કોઈ દેશ માટે પણ નહીં રમું.'"
રાશિદે જણાવ્યું કે IPL 2018માં તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો હતો, ત્યારે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને ભારતની નાગરિકતા લેવા માટે અપીલ કરવામાં આવી હતી.