બોલીવૂડના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચન માત્ર તેમની શાનદાર અદાકારી માટે જ નહીં, પણ તેમની નમ્રતા અને સંસ્કારો માટે પણ જાણીતા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ સમય વિતાવ્યા પછી પણ તેઓ સેટ પર દરેક નાના-મોટા કલાકાર અને ક્રૂ મેમ્બરને પૂરો આદર આપે છે. બિગ બી સાથે સંકળાયેવી એક એવી પણ વાત છે કે જેનાથી તેઓ ખૂબ જ અસહજ થઈ જાય છે અને એ છે 'પગે લાગવું'. જ્યારે પણ કોઈ બિગ બીને પગે પડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેઓ નારાજ થઈ જાય છે કે પછી તેમને તરત જ અટકાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પાછળનું અસલી કારણ શું છે?
અમિતાભ બચ્ચન સાથે કામ કરનારા ઘણા કલાકારો અને સેટ પર આવતા ફેન્સે આ વાતની નોંધ લીધી છે. બિગ બી જ્યારે પણ 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પર હોય કે કોઈ શૂટિંગ દરમિયાન, કોઈ ફેન કે જુનિયર કલાકાર આદરભાવ સાથે તેમના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કરે તો તેઓ તુરંત પાછળ હટી જાય છે. તેઓ પ્રેમથી સામેવાળી વ્યક્તિને હાથ જોડીને ઊભા થવા કહે છે અને ગળે લગાડી લે છે.
મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું એવું માનવું છે કે તેઓ કોઈ ભગવાન કે સુપરહ્યુમન નથી, પણ એક સામાન્ય કલાકાર છે. જ્યારે કોઈ તેમના પગે પડે છે ત્યારે તેમને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ પોતાને તેમનાથી નાની ગણી રહી છે, જે તેમને બિલકુલ પસંદ નથી.
અહીંયા તમારી જાણકારી માટે કે અમિતાભ બચ્ચન દરેક વ્યક્તિને એક સમાન ગણે છે. આ જ કારણ છે કે તેમનું એવું માનવું છે કે ઈન્ડસ્ટ્રીમાં કે સમાજમાં દરેક વ્યક્તિનું કામ મહત્વનું છે અને માન-સન્માન આપવા માટે પગે પડવાને બદલે માત્ર હાથ મિલાવવા, આલિંગન આપવું કે પછી નમસ્કાર કરવું એ પૂરતું છે.
અમિતાભ બચ્ચન હંમેશા તેમના પિતા અને જાણીતા કવિ હરિવંશરાય બચ્ચનની શિખામણોને અનુસરે છે. તેમના પરિવારે હંમેશાં નમ્રતાને સૌથી મોટો ગુણ માન્યો છે, તેથી તેઓ પગે લાગવા જેવી કોઈ પણ હરકતને નાપસંદ કરે છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અનેક વખત સેટ પર ફેન્સને હસીને કે પ્રેમથી કહી દે છે કે, કૃપા કરીને પગે ન પડો, હું આને કારણે ખૂબ જ અસહજ થઈ જાઉં છું...
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન પગે પડવાને બદલે સામેવાળી વ્યક્તિ સાથે હાથ મિલાવવાનું અથવા તેમને વાર્મ હગ આપવાનું વધારે પસંદ કરે છે. આ જ કારણ છે કે બિગ બી પ્રત્યે લોકોનો આદર માત્ર એક સુપરસ્ટાર તરીકે નહીં, પરંતુ એક સાચા અને નમ્ર વ્યક્તિ તરીકે પણ બેવડાઈ જાય છે.