Sun Jun 07 2026

Logo

'મરતા-મરતા બચ્યો', 70 દિવસ કેદીઓ વચ્ચે જેલમાં રહ્યા વિક્રમ ભટ્ટ્, હાલત થઇ ખરાબ, કહ્યું- ધ્રૂજતો હતો

2026-06-07 12:11:00
Author: Mumbai Samchar Team
Article Image

નવી દિલ્હીઃ ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ માટે વીતેલો થોડો સમય ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલો રહ્યો. 'ઈન્દિરા આઈવીએફ' (Indira IVF) ના સ્થાપક અજય મુર્ડિયાના સ્વર્ગસ્થ પત્ની ઈન્દિરા મુર્ડિયાની બાયોપિક (જીવનકથા) સાથે જોડાયેલા એક વિવાદના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેમણે લાંબો સમય જેલમાં વિતાવવો પડ્યો હતો. હવે તેમણે ઉદયપુર જેલમાં વિતાવેલા એ 70 દિવસો વિશે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે એ સમય તેમના માટે કેટલો તકલીફદાયક અને મુશ્કેલ હતો.

વિક્રમ ભટ્ટની આપવીતી

વિક્રમ ભટ્ટે ઉદયપુર જેલમાં વિતાવેલા દિવસોને યાદ કરતા કહ્યું કે, તેઓ લગભગ 60 થી 80 કેદીઓ સાથે રહતા હતા અને એ લોકો તરફથી મળેલા પ્રેમ અને આપ્તજન જેવા વ્યવહારને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે લોકો મને કોઈ કામ કરવા દેતા નહોતા. તેઓ મારા માટે જમવાનું લાવતા હતા અને મારા કપડાંનું ધ્યાન રાખતા હતા. તેઓ મને 'ભીષ્મ પિતામહ' કહીને બોલાવતા હતા.

અધિકારીઓનો મળ્યો સાથ

ફિલ્મમેકરે આગળ જણાવ્યું કે, તેમને માત્ર સાથે રહેતા કેદીઓનો જ નહીં, પરંતુ જેલના કેટલાક અધિકારીઓ અને સિપાઈઓનો પણ પૂરો સપોર્ટ (સાથ) મળ્યો હતો. આ અંગે તેમણે કહ્યું– "જ્યારે મારી તબિયત ખરાબ હતી, ત્યારે પણ સિપાઈઓએ અને જેલ પ્રશાસને મને ઘણો સાથ આપ્યો હતો."

જેલમાં બગડી ગઈ હતી તબિયત

વિક્રમ ભટ્ટે આગળ જણાવ્યું કે જેલમાં રહેવા દરમિયાન તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ (હેલ્થ ઈશ્યૂઝ) થઈ ગઈ હતી. તેમણે કહ્યું– "જેલમાં હું લગભગ મરણપથારીએ પહોંચી ગયો હતો. હું એક ઓટોઇમ્યુન (Autoimmune) બીમારીથી પીડાઈ રહ્યો છું. મારા સાંધા અને સ્નાયુઓમાં દુખાવો રહે છે અને જેલમાં જમીન પર ચટાઈ પાથરીને સૂવું પડતું હતું. એ ડિસેમ્બર અને જાન્યુઆરીનો મહિનો હતો અને ખૂબ જ વધારે ઠંડી હતી."

તેમણે આગળ જણાવ્યું કે જેલમાં રહેવા દરમિયાન તેમને કમળો (જૉન્ડિસ) પણ થઈ ગયો હતો, જે પછી તેમણે ઈલાજ માટે વારંવાર વિનંતી કરી હતી. વિક્રમ ભટ્ટે કહ્યું– "મને કમળો પણ થઈ ગયો હતો અને હું સતત પ્રશાસનને મને હોસ્પિટલ લઈ જવા માટે કહી રહ્યો હતો."

તેમણે આગળ ઉમેર્યું– "ત્યારે મને અહેસાસ થયો કે તેઓ મને ક્યારેય હોસ્પિટલ નહીં લઈ જાય. તેથી મેં એ જ કરવાનું શરૂ કર્યું જે પહેલા કમળો થયો ત્યારે કર્યું હતું. મેં તેલ-મસાલાવાળું ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું અને માત્ર ચણા, પાણી અને ફળોના સહારે રહેવા લાગ્યો. ધીમે-ધીમે હું સાજો થવા લાગ્યો."