નવી દિલ્હી/મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેના છ સંસદ સભ્યોએ બળવો કરીને જાહેરમાં એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા. આ પગલા બાદ ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં કુલ સાંસદોની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે એકનાથ શિંદેનો પક્ષ વધુ મજબૂત બન્યો છે. છ સાંસદોના એક સાથે બળવાથી ઠાકરેને મોટો ફટકો પડ્યો છે. આ દરમિયાન, ઠાકરેને હવે દિલ્હીથી વધુ એક ફટકો પડવાની શક્યતા છે.
સાંસદોના બળવા બાદ, લોકસભામાં ઠાકરેની સંખ્યાત્મક તાકાત હવે ઓછી થઈ ગઈ છે. તેથી લોકસભા સચિવાલય જૂના સંસદ ભવનમાં ઠાકરેનું કાર્યાલય પાછું મેળવી શકે છે. જો આ કાર્યવાહી કરવામાં આવે તો, ઠાકરે પાસેથી સંસદ દ્વારા ફાળવવામાં આવેલ દિલ્હીનું કાર્યાલય હાથ માંથી જશે.
નિયમ શું છે?
ઠાકરેની પાર્ટીના છ સાંસદોના બળવા બાદ, પાર્ટીના કુલ સાંસદોની સંખ્યા હવે ઘટીને માત્ર ચાર થઈ ગઈ છે. સંસદીય નિયમો અનુસાર, સંસદ સંકુલમાં કાર્યાલય ફાળવવા માટે પક્ષ પાસે પાંચથી વધુ સંસદ સભ્યો હોવા આવશ્યક છે.
જો લોકસભા સચિવાલય નિયમાનુસાર ઠાકરેની પાર્ટીને ફાળવેલ કાર્યાલય પાછું ખેંચે તો તેઓ તેમનું સંસદીય કાર્યાલય ગુમાવી શકે છે.
આ બાબતે નિર્ણય લેવાની સત્તા લોકસભા સચિવાલય પાસે છે. તેથી, હવે સચિવાલય શું નિર્ણય લે છે અને જો આવો નિર્ણય લેવામાં આવે તો ઠાકરેનો પક્ષ શું વલણ અપનાવે છે એ જોવું મહત્વપૂર્ણ રહેશે.