Fri Apr 17 2026

Logo

તમિલનાડુની સ્ટાલિન સરકારની મંદિરમાં દીપ પ્રાગટ્ય પર રોક, હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી

2025-12-05 19:06:31
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : તમિલનાડુના અરુલમિગુ સુબ્રમણ્ય સ્વામી મંદિર મંદિરમાં દીપ પ્રગટાવવાનો વધતો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચ આ મામલાની સુનાવણી કરવા સંમત થઈ છે. હાઈકોર્ટે અગાઉ દીપ પ્રગટાવવાને મંજૂરી આપી હતી. જેની વિરુદ્ધમાં સ્ટાલિન સરકાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

ભક્તોને દીપ પ્રગટાવવાની મંજૂરી મળી હતી

આ સમગ્ર કેસની વિગત મુજબ મદ્રાસ હાઈકોર્ટે તિરુપ્રાંકુન્દ્રમ ટેકરી પર સ્થિત અરુલમિઘુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરના ભક્તોને પરંપરાગત કાર્તિગાઈ દીપ પ્રગટાવવાની પરવાનગી આપી હતી. જેમાં એક પથ્થરનો દીવો, "દીપથૂન" એક દરગાહની નજીક સ્થિત છે. જેના લીધે વિવાદ ઉભો થયો છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે ગુરુવારે મદુરાઈ જિલ્લા મેજિસ્ટ્રેટ અને શહેરના પોલીસ કમિશનરની આંતર-કોર્ટ અપીલને ફગાવી દીધી હતી, જેનાથી ભક્તોને દીપ પ્રગટાવવાની મંજૂરી મળી હતી. તમિલનાડુ સરકારે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

મુસ્લિમ સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન થતું નથી.

આ સમગ્ર વિવાદની વિગતો મુજબ 1 ડિસેમ્બરના રોજ, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ જી.આર. સ્વામીનાથનની સિંગલ બેન્ચે ચુકાદો આપ્યો કે દીપથૂન પર દીવા પ્રગટાવવાની જવાબદારી અરુલમિઘુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરની છે. તેમણે એમ પણ કહ્યું કે આમ કરવાથી નજીકના દરગાહ કે મુસ્લિમ સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન થતું નથી. જોકે, સિંગલ બેન્ચના આદેશ છતાં દીપ પ્રગટાવવામાં આવ્યા ન હતા. ૩ ડિસેમ્બરના રોજ, બેન્ચે ભક્તોને દીપ પ્રગટાવવાનો નિર્દેશ આપ્યો અને તેમની સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફને સોંપી. મદુરાઈના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરે સિંગલ બેન્ચના આદેશ સામે આંતર-કોર્ટ અપીલ દાખલ કરી. જોકે, હાઈકોર્ટે અપીલ ફગાવી દીધી.

દીપ પ્રાગટય માટે પ્રયાસ કરી રહેલા ભક્તોની અટકાયત કરી

જેની બાદ તમિલનાડુની સ્ટાલિન સરકારે મંદિરમાં દીપ પ્રાગટય માટે પ્રયાસ કરી રહેલા ભક્તોની અટકાયત કરી હતી. તેમજ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.