Tue Aug 18 2026

Logo

મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર ધારદાર હથિયારથી હુમલો

2026-08-13 16:40:00
Author: Mumbai Samachar Team
Article Image

ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, સીએમ ફડણવીસે આપ્યા તપાસના આદેશ, હુમલાખોરની ધરપકડ

નવી દિલ્હી/નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડમાંથી વાવડ મળ્યા છે કે શિરોમણી અકાલી દળ (SAD)ના નેતા તથા પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર હુમલો થયો છે. આ સમગ્ર ઘટનાને લઈને યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. હુમલો થયા બાદ એમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ડૉક્ટર્સે એમનો ઈલાજ કરીને નિરીક્ષણ હેઠળ રાખ્યા છે. 

મુખ્ય પ્રધાન ફડણવીસે તપાસના આપ્યા આદેશ

નાંદેડના માતા સાહિબ વિસ્તારમાં આ ઘટના બની હતી. કોઈ ધારદાર હથિયારથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નેતાના જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચી છે. આ કેસમાં પોલીસે હુમલાખોરની ધરપકડ પણ કરી લીધી છે. આ હુમલા અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને નાંદેડના એસપી પાસે વધુ વિગતવાર અહેવાલ માગ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

વીડિયો પણ વાયરલ

નાંદેડના જિલ્લા અધિકારી રાહુલ કર્ડિલે જણાવ્યું હતું કે, સુખબીરસિંહ બાદલ અહીંયા એક ખાસ મુલાકાત હેતું આવ્યા હતા. આ સમયે સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક શખસ અચાનક ગુરૂદ્વારા પરીસરમાં આવ્યો અને અચાનક હુમલો કરી દીધો હતો. ધારદાર હથિયારથી એમના પર હુમલો કરવામાં આવ્યો આ કારણે એના જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.હુમલા બાદ હોસ્પિટલ પહોંચેલા નેતાનો એક વીડિયો સામે આવ્યો છે. 

આ વીડિયોમાં એવું સ્પષ્ટ જોઈ શકાય છે કે, સુરક્ષા જવાનો એમનો હાથ પકડીને એમને સારવાર માટે લઈ જઈ રહ્યા છે. હોસ્પિટલ તરફ તેઓ આગળ વધી રહ્યા છે. સમગ્ર હુમલા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલો કરનારને પકડી પાડ્યો છે. હવે પોલીસ એની પૂછપરછ કરી રહી છે. સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઈને એમની સુરક્ષા પણ વધારો કરવામાં આવ્યો છે. 

આગળની તપાસ ચાલુ

આ સમયે પણ તેઓ સુરક્ષા જવાનોની સતર્કતાથી બચી ગયા હતા. આખરે કોણ છે જે વારંવાર એના પર હુમલા કરીને એનું જોખમ વધારી રહ્યા છે. પોલીસે આ કેસમાં જેની ધરપકડ કરી એની પૂછપરછ કરી રહી છે. તે કોઈ ગ્રૂપ સાથે કે જૂથ સાથે જોડાયેલો છે કે નહીં એની તપાસ ચાલી રહી છે. પોલીસ પૂછપરછ બાદ અન્ય કેટલાક પાસાઓ પર સ્પષ્ટતા કરી શકે છે. આ કેસમાં હવે આગળની દિશામાં તપાસ ચાલી રહી છે.

ડિસેમ્બર, 2024માં ગોલ્ડન ટેમ્પલમાં હુમલો કર્યો હતો

આ અગાઉ પહેલા સુખબીર સિંહ બાદલ પત્ની હરસિમરત કૌર બાદલની સાથે નાંદેડમાં તખ્ત શ્રી હજૂન સાહિબ ગયા હતા. હરસિમરત કૌર બાદલ પણ અકાલી દળનાં સાંસદ છે. આ હુમલા સવારના અગિયાર વાગ્યાની આસપાસ થયો હતો. આ હુમલો પહેલી વાર થયો નથી, પરંતુ આ અગાઉ ડિસેમ્બર 2024માં પણ થયો હતો. અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં જીવલેણ હુમલો થયો હતો. એ વખતે તેઓ મંદિરમાં સેવા કરી (દરવાન) રહ્યા હતા, ત્યારે તેમના ઉપર નારાયણ સિંહ ચૌડા નામની વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જોકે, એ વખતે પણ બચી ગયા હતા, પરંતુ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી.