મુંબઈઃ મરાઠવાડાને મુંબઈ સાથે જોડતી વંદે ભારત એક્સપ્રેસ સૌથી ઝડપી ટ્રેન છે. આ કારણે, આ ટ્રેન હંમેશા મુસાફરોની પહેલી પસંદ રહી છે. મધ્ય રેલવેની આ ટ્રેનને મુસાફરોનો મળતો પ્રતિસાદ જોઈને રેલવે પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને હુઝુર સાહિબ નાંદેડ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસની ઝડપ વધશે જેથી મુસાફરોનો અડધો કલાક બચશે.
સીએસએમટી – નાંદેડ (ટ્રેન નં. 20706) વંદે ભારત એક્સપ્રેસ બપોરે 1.10 વાગ્યે ઉપડે છે તેના બદલે હવે બપોરે 1.15 વાગ્યે ઉપડશે. તે રાત્રે 10.50 વાગ્યે ના બદલે રાત્રે 10.25 વાગ્યે નાંદેડ પહોંચશે.
રિટર્નમાં નાંદેડ- મુંબઈ (ટ્રેન નંબર 20705) ટ્રેન નાંદેડથી સવારે 5.00 વાગ્યેને બદલે 5.20 વાગ્યે ઉપડશે. તે સીએસએમટી પર બપોરે 2.25 વાગ્યેને બદલે 2.15 વાગ્યે પહોંચશે. નવું સમયપત્રક 3 મે 2026થી અમલમાં આવશે.
મુંબઈ અને મરાઠવાડાને જોડતી વંદે ભારત એક્સપ્રેસ 30 ડિસેમ્બર, 2023 ના રોજ શરૂ થઈ હતી. તે આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન તરીકે ઓળખાય છે. અન્ય ટ્રેનો સામાન્ય રીતે મુંબઈથી નાંદેડ પહોંચતા 11 કલાક લે છે. વંદે ભારત એક્સપ્રેસ આ અંતર ફક્ત 9 કલાક 40 મિનિટમાં કાપે છે. હવે, સુધારેલા સમયપત્રક મુજબ, મુસાફરીમાં વધુ અડધો કલાકનો સમય બચશે.
વંદે ભારત એક્સપ્રેસ કુલ 8 મુખ્ય સ્ટેશનો પર ઉભી રહે છે. આમાં દાદર, થાણે, કલ્યાણ, નાશિક રોડ, મનમાડ જંકશન, છત્રપતિ સંભાજી નગર, જાલના અને પરભણી જંકશનનો સમાવેશ થાય છે.