Mon Jun 08 2026

Logo

નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર સલીમ કુમારનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

2026-06-07 16:59:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઈ દુઃખદ ઘટના બને ત્યારે એ સંદર્ભે ટ્વિટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. કોઈ મોટો અકસ્માત હોય કે કોઈ જાણીતી વ્યક્તિનું નિધન, પીએમ મોદી હંમેશાં પોતાના ટ્વિટર પર એક પોસ્ટ મૂકીને એમની સાથેના સ્મરણ વાગોળે છે તો ક્યારેક સાંત્વના પણ પાઠવે છે. મલયાલમ સિનેમા અને નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર સલીમ કુમારનું નિધન થતા મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. સલીમ કુમારના નિધનથી એમના ફેન્સમાં અને સમગ્ર મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

શું લખ્યું મોદીએ આ પોસ્ટમાં?

56 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લેનાર એક્ટરની સારવાર કોચીની હોસ્પિટલમાં ચાલી રહી હતી. એમના નિધન પર મોદીએ પોતાની ભાવના વ્યક્ત કરી છે. મલયાલમ સિનેમામાં 322થી વધારે ફિલ્મોમાં એક્ટિંગ અને 3 ફિલ્મોનું નિર્માણ કરનાર સલીમ પોતાની પાછળ લાંબી ફિલ્મ હિસ્ટ્રી છોડી ગયા છે. હાલ એમના પુત્ર પણ એક્ટિંગની દુનિયામાં માઈલસ્ટોન ઊભો કરવા પ્રયાસ કરી રહ્યો છે. 


વડા પ્રધાન મોદીએ સલીમ કુમારના નિધન પર વાત કરતા પોસ્ટમાં લખ્યું હતું કે, દિગ્ગજ અભિનેતા સલીમ કુમારના નિધનથી ઘણું દુઃખ થયું છે. પોતાની શાનદાર કરિયરમાં તેમણએ પોતાની બહુમુખી પ્રતિભા તથા જુદી જુદી ભૂમિકામાં યાદગાર પ્રદર્શન કરીને એક માઈલસ્ટોન છાપ છોડી છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના એમના પરિવાર તથા પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ. 

કેરળમાં થશે અંતિમસંસ્કાર

સલીમ કુમારના પરિવારમાં એમના પત્ની સુનીતા અને બે બાળકો ચંદુ અને આરોમલ છે. ચંદુએ પણ ફિલ્મની દુનિયામાં નામ કમાવવા માટે એક એક્ટર તરીકે સારૂ કામ કર્યું છે.  તાજેતરમાં જ તેણે કલ્યાણી પ્રિયદર્શન સાથે લોકા ચેપ્ટર વન ફિલ્મ કરી હતી. જેનું ફોર્મેટ વેબસીરિઝ જેવું હતું. સલીમ કુમારની તબિયત લથડતા સારવાર હેતુ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર દરમિયાન એમનું મૃત્યું નીપજ્યું છે. 

કોચીની એક ખાનગી હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. વેન્ટિલેટર પર એમની સારવાર ચાલું હતી. થોડા સમય પહેલા એમના લીવરનું ટ્રાંસપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું. એમના અંતિમસંસ્કાર કેરળના નોર્થ પરુવર સિટીમાં  લાફિંગ વિલામાં પોલીસ સન્માન સાથે કરવામાં આવશે.

નેશનલ એવોર્ડ વિજેતા પણ હતા

સલીમ કુમારે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં 'સત્યમેવ જયતે', 'થેનકાસીપટ્ટનમ', 'વન મેન શો', 'ઈ પરક્કુમ થાલિકા', 'મીસા માધવન', 'મઝથુલ્લીકિલુક્કમ', 'કુંજિક્કુનન', 'કલ્યાણરામન' અને 'સીઆઈડી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય પણ તેમની ઘણી ફિલ્મો છે. સલીમ કુમારે 'અચનુરાંગથા વીડુ' (Achanurangatha Veedu) માં તેમની શાનદાર અભિનય માટે 'શ્રેષ્ઠ અભિનેતા'નો કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ જીત્યો હતો અને ત્યાર બાદ 'અદામિન્ટે મકાન અબુ' (Adaminte Makan Abu) માટે તેમણે નેશનલ એવોર્ડ અને કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ જીત્યા હતા.