મુંબઈઃ અભિનેતા રિતેશ દેશમુખનું વર્ષો જૂનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રાજા શિવાજી’ નું હિન્દી અને મરાઠીમાં ટીઝર લુક જાહેર કરી દેવાયો છે.આ ફિલ્મમાં રિતેશ દેશમુખ પોતે છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ટીઝરમાં સ્વરાજ્યના સપનાની ઝલક જોવા મળે છે.
સંજય દત્તનો દમદાર અવાજ
ટીઝરની શરૂઆતમાં સંજય દત્તનો પાવરફુલ અવાજ સંભળાય છે, જે મુગલ શાસન સાથે જોડાયેલા પાત્રમાં છે. તે કહે છે કે, નામ કે આગે રાજા લગાને સે કોઈ રાજા નહીં બનતા હૈ, ત્યારબાદ રિતેશ દેશમુખ રણભૂમિમાં શિવાજી મહારાજના લુકમાં એન્ટ્રી કરે છે, જે રૂંવાડા ઊભા કરી દે તેવી છે. આ ફિલ્મમાં જેનિલિયા ડિસોઝા, વિદ્યા બાલન અને અભિષેક બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો પણ અલગ-અલગ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
મરાઠા સામ્રાજ્ય પર વધુ એક ફિલ્મ
રિતેશ દેશમુખે આ ટીઝર શેર કરતા ખૂબ જ ભાવુક પોસ્ટ લખી છે. તેણે જણાવ્યું કે, "ભારતના સૌથી મહાન યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપવાનું મારું એક દાયકા જૂનું સપનું આજે પૂરું થયું છે. તેઓ માત્ર એક રાજા નથી, પરંતુ આપણી ઓળખ છે. આ ફિલ્મ 1 મેના રોજ રીલિઝ થવાની છે. આ પહેલા પણ શિવાજી મહારાજ અને મરાઠા સામ્રાજ્યના ઈતિહાસના પાના પર બનેલી ફિલ્મ તાન્હાજી આવી હતી. જેમાં શરદ કેલકરે શિવાજી મહારાજની ભૂમિકા અદા કરી હતી. એ પછી મરાઠા સામ્રાજ્ય વિશે વધુ સ્પષ્ટ ચિત્ર અને ઔરંગઝેબની ક્રૂરતા પ્રગટ કરતી ફિલ્મ છાવા આવી હતી, જેમાં વિક્કી કૌશલના અભિનયે સૌના દિલ જીતી લીધા હતા. ફિલ્મનના દમદાર ડાયલોગ અને એક્શનસીના કારણે આ ફિલ્મ પણ હીટ ગઈ હતી. જોવાનું એ રહે છે કે, શિવાજીના પાત્રમાં લોકો રિતેશને સ્વીકારે છે કે નહીં.