(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભામાં મહિલા અનામત ખરડો લાવવામાં આવ્યો ત્યારે શિવસેના (યુબીટી)એ આ ખરડાના વિરોધમાં મતદાન કર્યું હતું, પરંતુ બીજી તરફ શિવસેના (યુબીટી)ની નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ મહિલા અનામત ખરડાની તરફેણમાં રહેવાનું વલણ અપનાવ્યું છે. આનાથી હવે શિવસેના (યુબીટી)માં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે પ્રિયંકા ચતુર્વેદી ટૂંક સમયમાં પાર્ટી છોડીને બીજા પક્ષમાં સામેલ થઈ શકે છે. આટલું જ નહીં અન્ય કેટલાક સંસદસભ્યો શિવસેના (યુબીટી)માં રાઉતથી નારાજ હોવાથી બીજા વિકલ્પ શોધી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
મહિલા અનામત સંબંધિત બિલ બે તૃતીયાંશ બહુમતી ન હોવાને કારણે લોકસભામાં નકારી કાઢવામાં આવ્યું હતું. આ અંગે બોલતાં, શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ બિલને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે બિલ મંજૂર ન થવું એ ભારતીય લોકશાહી માટે દુ:ખદ દિવસ છે. ઉપરાંત, સંસદ કે વિધાનસભામાં પ્રવેશ કરવા માગતી મહિલાઓ માટે આ મોટી નિરાશા છે. હું મહિલા અનામતના મુદ્દાને ટેકો આપતી રહીશ. હું બીજાની સુવિધા મુજબ મારી જાતને બદલીશ નહીં.
તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ મારું વલણ સ્વીકારતું નથી, તો તે તેમની સમસ્યા છે અને શિવસેના (યુબીટી)ના વલણથી અલગ વલણ અપનાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા બાદ શિવસેના (યુબીટી)એ તેમને ફરી નામાંકન ન આપ્યું તેથી તેઓ નારાજ હોવાનું કહેવાય છે.
છેલ્લા કેટલાક દિવસોથી એવું જોવા મળી રહ્યું છે કે ઠાકરે જૂથના સાંસદોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. કેટલાક સાંસદોએ સાંસદ સંજય રાઉતની કાર્યશૈલી પર નારાજગી વ્યક્ત કરી હતી. આ નારાજગી શિવસેના (યુબીટી) પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે સમક્ષ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
કેટલાક સાંસદોએ એમ પણ કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે સંજય રાઉત પાર્ટી ચલાવી રહ્યા છે. સાંસદોની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ સાંસદોને મનાવી લીધા હતા. પરંતુ હવે, એવું લાગી રહ્યું છે કે યુબીટી જૂથના કેટલાક સાંસદો પ્રિયંકા ચતુર્વેદીની સાથે જ અલગ થવાની તૈયારી કરી રહ્યા છે.
દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ચતુર્વેદી ટૂંક સમયમાં યુબીટીને છોડીને ભાજપમાં જોડાઈ જશે, જ્યારે યુબીટીના કેટલાક સાંસદો એકનાથ શિંદેનો હાથ પકડે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.