Mon May 25 2026

Logo

ઓઈલ કંપનીઓ હંમેશા કેમ 87 પૈસા કે 91 પૈસા જેવો વિચિત્ર ભાવવધારો કરે છે? જાણો આ પાછળનું આખું ગણિત...

2026-05-23 15:55:20
Author: Darshana Visaria
Article Image

હાલમાં મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલાં ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય ખોરવાઈ જવાની આશંકા વચ્ચે ભારતીય ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે ઇંધણના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જોકે, આ હંમેશા ઓઈલ કંપનીઓ દ્વારા 87 પૈસા, 91 પૈસા જેવો વિચિત્ર લાગતો વધારો કરવામાં આવે છે, ક્યારેય વિચાર્યું છે ખરું કે આ પાછળનું કારણ શું છે-

તાજેતરના ફેરફાર મુજબ, પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ, સામાન્ય જનતાના મનમાં સવાલ એ થાય છે કે ઓઈલ કંપનીઓ રાઉન્ડ ફિગરમાં (જેમ કે રૂ. 1 કે 2) ભાવ વધારવાને બદલે 87 કે 91 પૈસા જેવી ચોક્કસ સંખ્યામાં જ કેમ ફેરફાર કરે છે? આ પાછળનું કારણ શું છે એના વિશે આજે આપણે અહીં આ સ્ટોરીમાં વાચ કરીશું. સામાન્ય ગ્રાહકોને આ આંકડો ભલે વિચિત્ર લાગે, પરંતુ તેની પાછળ ઓઈલ કંપનીઓની સમજી વિચારીને બનાવેલી આર્થિક રણનીતિ અને વૈશ્વિક ગણતરીઓ કામ કરે છે.

બજારને અચાનક લાગતા ઝટકાથી બચાવવા
ઓઈલ કંપનીઓ માર્કેટમાં એકસાથે મોટો ભાવવધારો કરવાને બદલે 'કેલિબ્રેટેડ મેનર' એટલે કે ધીમે-ધીમે અને નાના હપ્તામાં કિંમતો વધારવાનું વલણ અપનાવે છે. જો કંપનીઓ એક જ ઝાટકે પેટ્રોલ કે ડીઝલના ભાવમાં રૂ. 5 કે 10નો વધારો કરી દે, તો દેશમાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ રાતોરાત આસમાને પહોંચી જાય. આનાથી શાકભાજી, અનાજ અને રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થઈ જાય અને દેશમાં આર્થિક ગભરાટ તેમજ જનતાનો ભારે વિરોધ શરૂ થઈ જાય. આ આકસ્મિક મોંઘવારી રોકવા માટે કિંમતો ટુકડે-ટુકડે વધારવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે. મધ્ય પૂર્વના તણાવના કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ મોંઘું થતાં ભારતીય ઓઈલ કંપનીઓ પર નાણાકીય બોજ અને નુકસાન સતત વધી રહ્યું છે. આ આયાત ખર્ચને સરભર કરવા માટે કંપનીઓ પોતાના નુકસાનનો અમુક હિસ્સો ધીમે-ધીમે ગ્રાહકો પાસેથી વસૂલવાનું શરૂ કરે છે.

ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ 
ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ આંતરરાષ્ટ્રીય બજારના આધારે નક્કી થાય છે. આ વ્યવસ્થા હેઠળ મુખ્યત્વે ત્રણ પરિબળો કામ કરે છે જેમ કે-
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં થતી રોજિંદી વધ-ઘટ.
ભારતીય રૂપિયા અને અમેરિકી ડોલર વચ્ચેનો એક્સચેન્જ રેટ .
રિફાઇનિંગ માર્જિન અને ટ્રાન્સપોર્ટેશનનો વાસ્તવિક ખર્ચ.

જ્યારે કમ્પ્યુટરાઈઝડ સિસ્ટમ દ્વારા ડોલરના મુકાબલે રૂપિયાની સ્થિતિ અને ઓઈલના બેરલના ભાવની ચોક્કસ ગણતરી કરવામાં આવે છે, ત્યારે અંતિમ રિટેલ કિંમત ઘણીવાર રાઉન્ડ ફિગરમાં આવવાને બદલે 87 પૈસા, 91 પૈસા કે 64 પૈસા જેવી પોઈન્ટ વાળી ચોક્કસ અને સચોટ સંખ્યામાં સામે આવે છે.