Thu Jun 25 2026

Logo

ભારતમાં પાકિસ્તાન જેવા ઈસ્લામી કાયદા લાગુ કરો: NCP MLAનું ચોંકાવનારું નિવેદન

2026-06-25 15:52:34
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં અજિત પવાર જૂથ એનસીપી(રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)નાં વિધાનસભ્ય સના મલિકના વિવાદાસ્પદ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. સના મલિકે યુસીસી પર આપેલા નિવેદનથી સૌ કોઈ હાજર નેતાઓ ચોકી ઉઠ્યા હતા. સના મલિકે ભારતમાં કુરાન આધારિત કાયદો લાગુ કરવાની માંગ કરી હતી.

એની સાથે ટ્રિપલ તલાકનુ પણ સમર્થન આપ્યું હતું. એનસીપીનાં વિધાનસભ્યએ પાકિસ્તાન, કુરાન અને મુસ્લિમ પર્સનલ લોનો ઉલ્લેખ કરતા ભારતમાં ઇસ્લામિક કાયદાને લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના માફક ભારતમાં પણ ઇસ્લામિક કાયદો લાગુ કરવો જોઈએ અને અમે તેની માંગ કરીએ છીએ. 

ત્રિપલ તલાક અંગે શું કહ્યું?

સના મલિકે તીન તલાકનું સમર્થન આપતા કહ્યું કે 'તલાકની અલગ અલગ પ્રકારના હોય છે. તલાક ત્રણ પ્રકારના હોય છે- તલાક-એ-હસન, તલાક-એ-અહસન, તલાક-એ-બિદ્દત. આ ત્રિપલ તલાકને લઈને જે કાયદો બનાવવામાં આવ્યો, તે એવી વ્યવસ્થા પર આધારિત છે, જે વ્યવહારમાં પહેલાથી વ્યાપક રૂપથી લાગુ થયો નહોતો.

તેનો ક્યાંય પણ ઉલ્લેખ નહોતો. ત્યાર બાદ તેમણે બહુપત્નીત્ત્વ પર કહ્યું; 'પોલીગામી ફક્ત એક ધર્મમાં નથી, પરંતુ દરેક ધર્મમાં છે. મુસ્લિમોમાં પોલીગેમીની પદ્ધતિ શિખવાડી છે અને તેનું પાલન કરવું જોઈએ. જેના માટે એક કાયદો જરૂરી છે.'    

X પર પોસ્ટ કર્યો વીડિયો 

આ નિવેદન પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે 'મેં આજે વિધાનસભામાં ટ્રિપલ તલાક એક્ટને લાગુ કરવા મારું પ્રેઝન્ટેશન આપ્યું હતું. કેટલાય ધર્મોમાં એકથી વધુ લગ્નની પ્રથા છે, જેથી કોઈ પણ કાયદો લાગુ કરતા સમયે તેને બંધારણ આધારિત હોવું જોઈએ. તેમાં કોઈ પણ ધર્મ પ્રત્યે વિરોધની ભાવના હોવી જોઈએ નહીં. ગૃહ રાજ્ય પ્રધાન યોગેશ કદમે મારા સવાલોનો સકારાત્મક જવાબ આપ્યો હતો અને તેમણે કહ્યું કે કાયદો લાગુ થયા પછી આ દરેક ધર્મો પર લાગુ થશે.'

નિતેશ રાણે બોલ્યા- રાજીનામું આપો અને પાકિસ્તાન જાઓ 

આ વિવાદાસ્પદ નિવેદન પછી ભાજપના નેતાઓએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન અને ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ કહ્યું કે ટ્રિપલ તલાકના સંબંધમાં કેન્દ્ર સરકાર અગાઉ નિર્ણય લઈ ચુકી છે, પરંતુ વિધાનસભામાં રહેલા અમુક લોકો આજે પણ કુરાન અને મુસ્લિમ ધાર્મિક ગ્રંથોને ટાંકીને સમાન નાગરિક સંહિતા (યુસીસી)નો વિરોધ કરે છે. 

તેમણે જણાવ્યું કે, યુસીસીનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે પણ અમુક લોકો બંધારણની વાત ફક્ત ત્યારે કરતા હોય છે જયારે તેમને પોતાના ગેરકાયદે કાર્યોને સાચા સાબિત કરવાના હોય છે. જો કોઈ વ્યક્તિને દેશના કાયદાઓનું અને બંધારણનું પાલન ન કરવું હોય, તો તેઓને પોતાના પદ પરથી રાજીનામુ આપીને પાકિસ્તાન જતું રહેવું જોઈએ.