મુંબઈઃ પશ્ચિમ રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન તરીકે જાણીતા નાલાસોપારામાં સવારે પીક અવર્સ દરમ્યાન હજારો મુસાફરો મુંબઈ જતી લોકલ ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ પર ઉમટી પડે છે. લોકલ ટ્રેન આવતાની સાથે જ ટ્રેનમાં ચઢવા માટે ધક્કામુક્કી થાય છે. આ અંધાધૂંધીમાં મુસાફરોને ઘણીવાર ગંભીર ઈજા પહોંચતી હોય છે, ધક્કામુક્કીને કારણે ઘાયલ થાય છે અને ક્યારેક ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટીતંત્રે મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા એક નવી સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલ હેઠળ મુસાફરોને સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે મુંબઈ જતી (અપ લાઈન) લોકલ ટ્રેનોના પ્લેટફોર્મ પર વ્યવસ્થિત કતારમાં ઉભા રાખ્યા પછી જ ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે રેલવે પોલીસ અને રેલવે પોલીસ દળના કર્મચારીઓ પ્લેટફોર્મ પર તૈનાત રહેશે અને કતાર સહિત ભીડ નિયંત્રણ માટે જવાબદાર રહેશે.
ઉપરાંત, દરેક લોકલ કોચના ગેટ પાસે પીળા અને લીલા રંગના ચિહ્નો કરવામાં આવ્યા છે. મુસાફરોએ પીળા રંગના ચિહ્નો પરથી ઉતરવું અને લીલા રંગના ચિહ્નો પરથી ચઢવાના સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે. આનાથી ચઢતી અને ઉતરતી વખતે થતી ધક્કામુક્કી ઓછી થશે જેથી મુસાફરો સુગમતાથી ચઢી ઉતરી શકશે.
રેલવે વહીવટીતંત્રે મુસાફરોને શિસ્ત જાળવવા, નિયમોનું કડક પાલન કરવા અને આ પહેલના સફળ અમલીકરણ માટે સહયોગ કરવાની અપીલ કરી છે. જો મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે, તો આ પ્રયોગ ફક્ત નાલાસોપારા પર જ નહીં પરંતુ અન્ય ભીડવાળા સ્ટેશનો પર પણ લાગુ કરી શકાય છે. આનાથી પ્રવાસીઓની દૈનિક મુસાફરી સુરક્ષિત અને સરળ બને એવી અપેક્ષા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.