Sun Jun 21 2026

Logo

વિપક્ષે ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો સરકારની લોન માફી છેતરામણી છે...

2026-06-21 17:36:53
Author: Vipul Vaidya
Article Image

ખેડૂતોના 7/12 કોરા કરો: મહાવિકાસ મહાવિકાસ આઘાડીની માગણી આ મહાયુતિ સરકાર નથી પણ 56 ટકા કમિશનવાળી સરકાર છે: એમવીએ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારના નિષ્ફળ વહીવટ અને લોકોના પ્રશ્ર્નો પ્રત્યે સરકારના અસંવેદનશીલ વલણના વિરોધમાં, મહાવિકાસ આઘાડીએ રવિવારે એક પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે તેઓ વિધાનસભા સત્રની પૂર્વસંધ્યાએ આયોજિત સરકારની ચા પાર્ટીનો બહિષ્કાર કરશે.મહાવિકાસ આઘાડીના મુખ્ય નેતાઓએ એવો આરોપ લગાવ્યો હતો કે સરકાર રાજ્યમાં ગંભીર મુદ્દાઓને સતત અવગણી રહી છે. દુષ્કાળ, ખેડૂતોના પ્રશ્ર્નો, મહિલાઓ પર વધતા અત્યાચાર, કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને રાજ્યમાં વધતા ડ્રગ નેટવર્ક જેવા ઘણા મુદ્દાઓ પર રાજ્ય સરકાર કોઈ સંતોષકારક જવાબ આપતી નથી તે બદલ મહાવિકાસ આઘાડીએ સરકારની ટીકા કરી હતી.

રાજ્ય દુકાળના સંકટનો સામનો કરી રહ્યું છે. વાવણીમાં વિલંબ થયો છે, ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે, એમ જણાવતાં શિવસેનાના જૂથના નેતા ભાસ્કર જાધવે પત્રકાર પરિષદમાં એવી માગણી કરી હતી કે સરકારે સૂકો દુકાળ જાહેર કરવો જોઈએ. સરકારે જાહેર કરેલી લોન માફી છેતરામણી છે અને ખેડૂતો શરતો અને નિયમોમાં ફસાઈ ગયા છે. મહા વિકાસ આઘાડીએ એવી માગણી કરી હતી કે મહાયુતિ સરકારે ખેડૂતોના 7/12 કોરા કરવા જોઈએ.

વિધાન પરિષદમાં કોંગ્રેસના જૂથના નેતા સતેજ પાટીલે આ સરકારની 56 ટકા કમિશન સરકાર તરીકે ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોન્ટ્રાક્ટરોને કામના બિલ મેળવવા માટે મોટી રકમ કમિશન ચૂકવવી પડે છે. કોન્ટ્રાક્ટરોના એક લાખ કરોડ રૂપિયાથી વધુના બિલ બાકી છે. જળ જીવન મિશનના ભંડોળમાં કાપ મૂકવામાં આવ્યો છે અને ઘણા વિકાસ કાર્યો અટકી ગયા છે. બીજી તરફ, સતેજ પાટીલે એવી ટીકા કરી હતી કે મહારાષ્ટ્રની નાણાકીય સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે કારણ કે રાજ્ય પર દેવાનો બોજ સાડા નવ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

એનસીપીના નેતા જયંત પાટીલે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. મહિલાઓ પર અત્યાચારો વધ્યા છે. રાજ્યમાં ડ્રગ્સનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આવા કિસ્સાઓમાં, નાના લોકોની ધરપકડ થાય છે. પરંતુ માસ્ટરમાઇન્ડ મુક્ત છે.ડ્રગ ડીલરો અને પોલીસના હિતને કારણે આ ઘટનાઓ વધી રહી છે. મંદિર જમીન કૌભાંડનો મુદ્દો ગયા સત્રમાં ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવી ટીકા જયંત પાટીલે કરી હતી.

સરકાર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ર્નોના જવાબ આપવાને બદલે ફક્ત મજાક ઉડાવી રહી છે. વ્યાકરણ પર ટિપ્પણી કરવાને બદલે વિપક્ષ દ્વારા આપવામાં આવેલા પત્રમાં દરેક મુદ્દાનો જવાબ આપવાની સરકારની જવાબદારી છે, એવી ટીકા જીતેન્દ્ર આવ્હાડે કરી હતી.મહાવિકાસ આઘાડીએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો કારણ કે જે સરકાર લોકોના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર નથી તેની સાથે ઔપચારિક ચા પાર્ટીમાં હાજરી આપવી યોગ્ય નથી. રાજ્યના 13 કરોડ લોકોના હિતના મુદ્દાઓનું નિરાકરણ લાવવાની સરકારની ફરજ છે અને મહાવિકાસ આઘાડી ચોમાસા સત્રમાં આ બધા મુદ્દાઓ આક્રમક રીતે ઉઠાવશે, એમ મહાવિકાસ આઘાડીએ રવિવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.