Sun Jul 05 2026

Logo

ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં વૃક્ષ પડવાથી બેનાં મોત, જળાશયોમાં પાણીની આવક વધી

2026-07-05 15:58:51
Author: Mumbai Samachar Team
Article Image

લોકલ ટ્રેનો અડધો કલાક મોડી, લોનાવલામાં મોસમનો સૌથી વધુ વરસાદ

મુંબઈઃ છેલ્લા પાંચ દિવસથી મુશળધાર વરસાદને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનના જનજીવન પર મોટી અસર પડી છે. આજે રેડ એલર્ટ વચ્ચે પણ પડેલા ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ પર પાણી ફરી વળવાની સાથે વૃક્ષો ધરાશયી થવાની ઘટનામાં વધારો થયો હતા, જેમાં વધુ બે લોકોનાં ભોગ લેવાયા છે. વહેલી સવારથી અંધેરી, વિરાર, માટુંગા, પવઈ સહિત અનેક વિસ્તારો વરસાદી પાણીને કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા છે, જ્યાં ઠેરઠેર પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને અવરજવર કરવાનું મુશ્કેલ બન્યું હતું. 

મુંબઈમાં સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં પૂર્વ ઉપનગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે શહેર અને પરાના વિસ્તાર મળીને 250થી વધુ વૃક્ષ અને એની શાખાઓ તૂટી પડવાના બનાવ બન્યા હતા, જ્યારે જાનહાનિના સમાચાર છે.

વૃક્ષ પડવાને કારણે બે જણનાં મોત
સવારથી બપોર વચ્ચે 50થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવવાની આગાહી વચ્ચે આજે પવનનું જોર વધ્યું હતું, જેમાં ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે વૃક્ષ પડવાની ઘટનામાં વધારો થયો છે. કુર્લામાં એક વૃદ્ધ અને એક યુવકનું વૃક્ષ પડતા મૃત્યુ થયું હતું. મુંબઈમાં વૃક્ષ પડવાને કારણે બે જણનાં મોત થયા હતા. એક કિસ્સો કુર્લામાં બન્યો હતો, જ્યારે બીજો આરે કોલોનીમાં. 

63 વર્ષના વૃદ્ધ અને યુવક બન્યા શિકાર
કુર્લા પશ્ચિમમાં સરકારી સ્કૂલ નજીક વૃક્ષ ધરાશાયી થતા 63 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું જેમની ઓળખ યુનુસ કુંડવાલા તરીકે કરવામાં આવી છે, જ્યારે આરે કોલોનીમાં વૃક્ષ પડતા અઢાર વર્ષના યુવકનું મોત થયું હતું, જેની ઓળખ હસન રજા તરીકે કરી છે. શનિવારે બપોરે આરે કોલોનીના યુનિટ નંબર 13 ખાતે ચાલતી બાઈક પર અચાનક વૃક્ષ ધરાશયી થયું હતું, જેમાં યુવકનું મોત થયું હતું, જે સાકીનાકાનો રહેવાસી હતો. તેને ગંભીર ઈજા પહોંચ્યા પછી હોસ્પિટલમાં સારવાર વખતે ડોક્ટર મૃત જાહેર કર્યો હતો. જોકે, આ બંને ઘટના પછી વિપક્ષે હવે પાલિકા પ્રશાસન પર નિશાન સાધ્યું હતું. મનસેએ પણ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.

ગટરમાં પડતા વૃદ્ધનું થયું હતું મોત
કુર્લામાં વૃદ્ધ શિકાર બન્યા પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમની ઓળખ યુનુસ કુંડાવાલા તરીકે કરી છે. ચોંકાવનારી વાત એ હતી કે ઘટનાસ્થળે બનાવ બન્યા પછી પાલિકાના કર્મચારીઓએ જગ્યા પરથી વૃક્ષને હટાવી લીધું હતું, જાણે કોઈ બનાવ બન્યો જ નથી. દરમિયાન સાકીનાકામાં પણ એક વૃદ્ધનું નાળામાં પડતા મૃત્યુ થયું હતું એના પછી આ બનાવમાં પણ પાલિકાની બેદરકારી મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવ્યા છે.

લોકલ ટ્રેનની રફતારમાં 'બ્રેક' પણ
મુંબઈ સહિત મેટ્રો પોલિટન રિજનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનની રફતારમાં એકંદરે બ્રેક વાગી છે. લોકલ ટ્રેનો સવારથી અડધો કલાકની આસપાસ મોડી દોડી રહી છે, પરંતુ ચાલુ હોવાથી મુંબઈગરાએ રાહતનો શ્વાસ લીધો છે. પશ્ચિમ રેલવેમાં વસઈ-વિરાર, નાલાસોપારામાં મેઘતાંડવને કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા છે, પરંતુ વરસાદી પાણી ટ્રેક પર આવ્યું નથી. પશ્ચિમ રેલવેની સાથે મધ્ય રેલવેમાં હાર્બર લાઈન અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનો મોડી પણ ચાલુ હોવાનું રેલવેએ સોશિયલ મીડિયા પર અપડેટ આપ્યું હતું.

જળાશયોની આવકમાં વધારો
શનિવારે ચોથી જુલાઈથી રવિવારે સવારના વચ્ચે ભારે વરસાદને કારણે મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડનારા સાતેય જળાશયોમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. પાલિકાના અહેવાલ અનુસાર સાતેય જળાશયોમાં કુલ પાણીનો સ્ટોક 13.19 ટકા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 3.78 ટકાનો વધારો થયો છે.

મહારાષ્ટ્રના અનેક શહેરોમાં રાહત
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદ પછી પાણીની ખેંચની સમસ્યામાં રાહત થઈ શકે છે. મુંબઈની સાથે નવી મુંબઈ, પાલઘર, થાણે, કોલ્હાપુર, રાયગઢ અને લોનાવલા સહિત અનેક જિલ્લામાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સાથે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી, જ્યારે અનેક જિલ્લામાં 24 કલાકમાં 100 મિલિમીટરથી 400 મિલિમીટર જેટલો વરસાદ ખાબક્યો હતો. નવી મુંબઈમાં ભારે વરસાદને કારણે તુર્ભે રેલવે સ્ટેશનના નીચે પાણી ભરાયું હતું, જેને કારણે પ્રવાસીઓને પરેશાની ભોગવવી પડી હતી. રાયગઢમાં વરસાદને કારણે અંબા નદીના જળસ્તરમાં વધારો થયો હતો. 

પર્યટન નગરીઓ મેઘરાજાની મહેર
મુંબઈ નજીકની પર્યટન સ્થળ લોનાવલા અને માથેરાનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. લોનાવલામાં 24 કલાકમાં 267 મિલિમીટર વરસાદ નોંધાયો હતો, જે સિઝનનો સૌથી વધુ વરસાદ છે. સમગ્ર વિસ્તાર પહાડો, ઝરણા હરિયાળા હોવાને કારણે લીલાછમ બની ગયા છે, જ્યાં કુદરતનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં લોનાવલા અને આસપાસના વિસ્તારોમાં 1,090 મિલિમીટર વરસાદ નોંધાયો છે, પરંતુ ગયા વર્ષે તો 2,392 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. જોકે ખેડૂતો માટે પણ વાવણી લાયક વરસાદ થયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.