Tue Jul 07 2026

Logo

મુંબઈમાં 24 કલાકમાં 523 વૃક્ષો ધરાશયી, જાણો શું છે કારણો

2026-07-07 16:05:16
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, વૃક્ષો જડમૂળથી ઉખડી રહ્યા છે, જેમાં શહેરમાં છેલ્લા 24 કલાકમાં 523 જેટલા વૃક્ષો પડવાની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું અને અન્ય આઠ લોકોને ગંભીર ઇજા થઈ હતી. આ દુર્ઘટનાઓના કારણે વૃક્ષોની ખોટી રીતે છટણી અને ખરાબ હવામાન જવાબદાર હોવાનું ગણાવ્યું હતું.

મળતી વિગતો અનુસાર શહેરના વૃક્ષો કોન્ક્રીટથી ઘેરાયેલા છે અને તેને છટણી કરવાની પદ્ધતિમાં પણ અસંતુલન ઊભું થયું છે, જેમાં રસ્તાઓ તરફની ડાળીઓને કાપવામાં આવે છે જેનાથી ભારે પવનના કારણે વૃક્ષ અસ્થિર થઈ જાય છે. મુંબઈમાં એકલા રવિવારે શહેરના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં 523 જેટલી ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. વૃક્ષ પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ વ્યક્તિના મોત થયા હોવાની વિગતો મળી છે. 

ઉઠી રહ્યા છે ગંભીર પ્રશ્નો 
મુંબઈગરાઓ વરસાદમાં દરવર્ષે બનતી દુર્ઘટનાઓની આ ગંભીર સમસ્યાઓનું નિવારણ વહીવટીકર્તાઓ પાસે માંગી રહ્યા છે કે શું આ પાલિકાની બેદરકારી છે કે પછી કોઈ કુદરતી આફત. જોકે, મુંબઈમાં ઝાડ પડવાની ઘટનાઓ દર વર્ષે બને છે, પરંતુ આ ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. પાલિકાએ આ ઘટનાઓ પાછળ ભારે ફૂંકાતા પવનને જવાબદાર ગણાવ્યા હતા. 
રવિવારે પવનની ઝડપ 72-79 કિમી પ્રતિ કલાક હતી, જે ચોમાસા દરમિયાન સામાન્ય રીતે ફુંકાતા પવનથી ત્રણ ગણા વધારે જોવા મળી હતી. જાણકારોના મતે ઝાડ પડવાની ઘટનાઓએ પાલિકાના મોટા રોડ કોન્ક્રીંટાઇઝેશન પર ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, કેમ કે જ્યાં હાલમાં જ કોન્ક્રીંટાઇઝેશનનું કામ થયું હતું ત્યાં આ ત્રણ દુર્ઘટનામાંથી બે તો આ જ રસ્તા પર ઘટી હતી.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ કોન્ક્રીંટાઇઝેશન પ્રોજેક્ટને જાન્યુઆરી 2023માં લોન્ચ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, ત્યારથી વૃક્ષ પડવાની ઘટનામાં પણ વધારો થયો છે. પાલિકાની વિગતો મુજબ વર્ષ 2023માં 687, 2024માં 653 અને 2025માં 855 ઘટનાઓ નોંધાઈ હતી. 2023થી 2026 વચ્ચે વૃક્ષ પડવાની ઘટનામાં કુલ 11 લોકોના મૃત્યુ થયા હતા, જયારે 2020થી 2022 સુધી કુલ ચાર લોકોના મૃત્યુ થયા હતા. 

જાણકારના જણાવ્યા અનુસાર, સિમેન્ટ અને વૃક્ષ એકસાથે રહી શકે નહીં, ઝાડના મૂળને માટીની પકડની જરૂરિયાત હોય છે, જયારે માટીની જગ્યાએ વૃક્ષો કોંક્રિટથી ઢંકાઈ જાય છે, ત્યારે તે ઝાડના મૂળ સમય જતા પોતાની પકડ ખોઈ બેસે છે અને ઝાડના મૂળ નબળા પડી જાય છે. આ સ્થિતિના કારણે વૃક્ષો અસ્થિર થઈ જતા પડી શકે છે. જેથી જોખમનું આંકલન કરવા માટે ઝાડનું સરંક્ષણ કરવા માટે LiDAR અને એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ઝાડ પડવાનું જોખમ ઘટી જાય છે.