મુંબઈમાં વંદે ભારત ઓવરહોલિંગ ડેપોનો વિરોધ: લોકલ ટ્રેનના ટાઈમટેબલ પર અસર થવાની ભીતિ
મુંબઈ: પશ્ચિમ રેલવેના જોગેશ્વરી (પૂર્વ)માં વંદે ભારત ટ્રેન માટે ઓવરહોલિંગ ડેપો બનાવવાની તૈયારીમાં છે. સમગ્ર દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સમારકામ માટે આ ડેપોમાં આવશે, પરંતુ તેનાથી મુંબઈની ટ્રેનસેવા પર અસર થઈ શકે. પશ્ચિમ રેલવેના કોરિડોરમાં પહેલાથી ઓવરલોડિંગ છે, જ્યાં સબર્બન લોકલ ટ્રેન સહિત મેઈલ-એક્સપ્રેસ ટ્રેન સહિત ગૂડ્સ ટ્રેન માટે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે દેશભરની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જોગેશ્વરી આવે તો મુંબઈની લોકલ ટ્રેન પર અસર થઈ શકે છે.
આ મુદ્દે પશ્ચિમ રેલવેના અધિકારીએ ચિંતા વ્યક્ત કરી હતી. મુંબઈની લોકલ ટ્રેનને મુંબઈની લાઈફલાઈન માનવામાં આવે છે. જોકે, આ સેવાઓમાં વિલંબ થશે તો લાખો મુંબઈગરાઓને દરરોજ અસુવિધા થશે. લોકલ ટ્રેનોની રફ્તાર ધીમી પડશે તો પ્રવાસીઓ સમયસર તેમના કામકાજના સ્થળે પહોંચી શકશે નહીં. જો આવું થશે તો મુંબઈગરાની નારાજગીનો ભોગ બનવું પડી શકે છે.
જોગેશ્વરીમાં પીએચઓ બનાવવા વિરોધ
જોગેશ્વરીમાં સેન્ટ્રલ રેલ સાઈડ વેરહાઉસ કંપની લી.નું ગોદામ આવેલું છે. તેની સ્ટૅબ્લિન્ગ લાઈન અને ગુડ શેડને મળીને વંદે ભારત ટ્રેનની પિરિયોડિક ઓવરહોલિંગ સુવિધાનું નિર્માણ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે અધિકારીઓ પણ આનો વિરોધ કરી રહ્યા છે. અધિકારીઓનું માનવું છે, જોગેશ્વરીમાં રેલ ટર્મિનસ નિર્માણાધીન છે. જો અહીંયા પીએચઓ બનશે તો દેશભરથી સમારકામ માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો અહીંયા આવશે. જેના કારણે ફક્ત લોકલ ટ્રેનો જ નહિ, પણ મેઈલ એક્સપ્રેસ ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાઈ જશે.
વિરાર પહેલા ડેપો બનાવવા માટેનું સૂચન
વંદે ભારત માટે પીએચઓ ડેપો દેશના કોઈ પણ સ્થળે બનાવી શકાય છે. જો મુંબઈ મહાનગર વિસ્તારમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગતા હોય, તો રેલવે બોર્ડને વિરાર પહેલા બનાવવો જોઈએ. હાલમાં પશ્ચિમ રેલવે લોકલ સેવાઓથી રોજ 35 લાખથી વધારે પ્રવાસીઓ મુસાફરી કરે છે.
પશ્ચિમ રેલવેએ રેલવે બોર્ડને તકલીફ જણાવી
પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડને આ નિર્ણય પર પોતાની અસંમતિ દર્શાવી હતી. અધિકારીઓના મતે, વંદે ભારત જરૂરી છે, પણ આ નિર્ણયથી લાખો લોકોને દૈનિક મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે તે બોર્ડને મંજૂર નથી, તેવું જણાવવામાં આવ્યું હતું. વિરાર-દહાણુ વચ્ચે નવો ડેપો બનાવવાનો વિકલ્પ શક્ય છે, જેનાથી મેઇન લાઈન પર લોડ પણ ઓછો પડશે.
થઇ શકે છે આવી તકલીફો
ટ્રેક શેરિંગ: જોગેશ્વરી સેક્શન પર અગાઉથી જ 1300થી વધારે લોકલ અને 300 મેઈલ એક્સપ્રેસ ચાલે છે. વંદે ભારત રેકના આવવાથી અવરજવરમાં ઓક્યુપન્સી વધશે.
મેઇન્ટેનન્સ ટાઈમ: પીએચઓમાં એક રેક સાતથી દસ દિવસ રહે છે. જો કેટલીક રેક એકસાથે આવે તો સ્ટૅબલિંગ લાઈનમાં જગ્યાની અછત સર્જાશે. પીક અવરમાં એક પણ બ્લોક કે વિલંબથી સંપૂર્ણ સ્લો-ફાસ્ટ લાઇનનું શિડ્યુલ બગડી જાય છે.
નવા પ્લાનમાં શું શું?
45 રેકની ક્ષમતા: આ ડિપો એક વારમાં 45 વંદે ભારત રેક સંભાળશે. દરેક રેકને 30 દિવસમાં મેન્ટેનન્સની જરૂરિયાત હોય છે, એટલે કે દૈનિક સરેરાશ દોઢ રેક પીએચઓ માટે જોગેશ્વરી આવશે.
6 ડેડિકેટેડ લાઈન: ડેપોમાં 6 લાઈન હશે. 2 ફુલ લેંથ પિટ લાઈન, 2 પીએચઓ સીક લાઈન અને 2 વોશિંગ લાઈન.
કોચિંગ ટર્મિનલનો ઉપયોગ: અહીં કોચિંગ ટર્મિનલ બની રહ્યું છે. જે ફાયદાકારક નીવડશે. જેથી મેઈલ-એક્સપ્રેસ ટ્રેનોના રેકના સમારકામ સમયસર થઇ શકશે.