ગયા અઠવાડિયે અંડર કન્સ્ટ્રક્સન બિલ્ડીંગમાંથી છ મજૂરો નીચે પડી ગયા હતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેમ્બુરમાં ગયા અઠવાડિયા અંડર ક્ધસ્ટ્રકશન બિલ્ડિંગમાંથી કામ કરતા સમયે છ મજૂરો નીચે પડી ગયા હતા. આ દુર્ઘટનામાં બુધવારે વધુ એક મજૂરનું સારવાર દરમ્યાન મૃત્યુ થતા અત્યાર સુધીનો મૃત્યુઆંક ત્રણ થઈ ગયો છે. એકની હાલત હજી પણ ગંભીર હોઈ તેના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. બાકીના બેની હાલત સ્થિર છે.
ચેમ્બુરના સુભાષ નગરમાં ૨૮ ફેબ્રુઆરીના એક અંડર ક્ધસ્ટ્રકશન બિલ્િંડગના છઠ્ઠા માળેથી છ મજૂર નીચે પડી ગયા હતા, તેમાંથી પંચાવન વર્ષના રામતુલ્લા હૉસ્પિટલમાં સારવાર મળે એ અગાઉ જ મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ ક્ધસ્ટ્રકશન સ્થળ પર મજૂરોની સલામતી માટે યોગ્ય પગલાં લીધાં ન હોવાને કારણે કૉન્ટ્રેક્ટર સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.
આ દુર્ધટનામાં રવિવાર, પહેલી માર્ચના સારવાર દરમ્યાન ૩૫ વર્ષના વિજય મોર્યાનું સાયન હૉસ્પિટલમાં રાતના મૃત્યુ થયું હતું. ડોકટરના કહેવા મુજબ ડાબા હાથને ઈજાની સાથે જ તેના આંતરડા અને કિડનીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તો તેને જાંધમાં પણ હાડકું તૂટી ગયું હતું.
આ દરમ્યાન ૨૨ વર્ષના ગંગાધર રાયનું પણ બુધવારે સાયન હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન બપોરના મૃત્યુ થયું હતું. શરીર પર અનેક જગ્યાએ ફેક્ચરની સાથે જ ઉપરથી નીચે પડવાને કારણે તેના મગજને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
સાયન હૉસ્પિટલમાં ૩૦વર્ષના કુશ રોય પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર છે. તો ૨૫ વર્ષના રમેશ રાય અને ૨૭ વર્ષના સંદીપ પર રાજાવાડીમાં સારવાર ચાલી રહી છે. બંનેની હાલત સ્થિર હોવાનું હૉસ્પિટલે જણાવ્યું હતું.