(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે સોમવારે રાજ્ય સરકારને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ એમ દેવેન્દ્ર સિંહ અને અન્ય એક એમપીસીબીના અધિકારીનું સસ્પેન્શન રદ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રાજ્યના પર્યાવરણ પ્રધાન પંકજા મુંડે દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પ્રશ્ર્નોના જવાબ આપવામાં અને બેઠકોમાં હાજરી આપવામાં કથિત રીતે નિષ્ફળ જવા બદલ આઈએએસ અધિકારી સિંહ અને જોઈન્ટ ડિરેક્ટર સતીશ પડવળને 27 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
શિવસેનાના વિધાનસભ્ય અને પ્રો-ટેમ સ્પીકર દિલીપ લાંડેએ મુંડે દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં તેમના વર્તન અને ગેરહાજરી પર નિરાશા વ્યક્ત કર્યા બાદ તેમના સસ્પેન્શનની જાહેરાત કરી હતી. સોમવારે, સંસદીય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટીલે ગૃહમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં જણાવ્યું હતું કે સિંહે તેમના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી છે અને સંબંધિત અધિકારીઓને સહયોગની ખાતરી આપી છે.
‘યોગ્ય વિચારણા પછી, મેં સિંહ અને અન્ય એક અધિકારીનું સસ્પેન્શન રદ કરવાનો પ્રસ્તાવ સ્પીકર સમક્ષ રજૂ કર્યો હતો,’ એમ પાટીલે કહ્યું હતું. નાર્વેકરના નિર્દેશને અનુસરીને, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહને એવી જાણ કરી હતી કે બંને અધિકારીઓનું સસ્પેન્શન રદ કરવામાં આવશે.