Wed Jul 01 2026

Logo

મહારાષ્ટ્ર સરકારની આરોગ્ય યોજનામાં છેતરપિંડી રોકવા ફ્લાઇંગ સ્ક્વોડ અને એઆઈ મદદ કરશે: અબિતકર

2026-07-01 18:40:33
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિતકરે આજે ચેતવણી આપી હતી કે સરકાર મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના (એમજેપીજેએવાય)માં છેતરપિંડી કરનાર "કોઈને છોડશે નહીં" અને રાજ્ય સંચાલિત યોજનામાં છેતરપિંડી શોધવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવાની ખાતરી આપી હતી.

વિધાનસભામાં જવાબ આપતા, અબિતકરે જણાવ્યું હતું કે મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનાઓ હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડની તૈનાતી અને એઆઈ આધારિત દેખરેખ કરવામાં આવશે જેથી અચાનક નિરીક્ષણ કરી શકાય અને ગેરરીતિમાં સંડોવાયેલી હોસ્પિટલો અને અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લઈ શકાય.

"અમે જૂના જીવનદાયી પોર્ટલથી એઆઈ-આધારિત કેએમએસ 2.0 પ્લેટફોર્મ પર સ્થળાંતર કર્યું છે. એઆઈ એ પોતે જ શંકાસ્પદ દાવાઓ અને સારવાર પેટર્ન શોધી કાઢી છે. આ ગેરરીતિઓ પ્રકાશમાં આવ્યા પછી આરોગ્ય વિભાગે પોતાની રીતે  કાર્યવાહી કરી છે. જે કોઈ દોષિત ઠરશે, તેને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે," પ્રધાને જણાવ્યું.

અબિતકરે જણાવ્યું હતું કે સરકાર પારદર્શિતા લાવવા અને કેશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ (એમજેપીજેએવાય)ના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે રીઅલ-ટાઇમ મોનિટરિંગ ડેશબોર્ડ પણ રજૂ કરશે. 

વર્ષોથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ અંગેની ચિંતાઓના જવાબમાં પ્રધાને કહ્યું કે જ્યાં જરૂર હશે ત્યાં જિલ્લા સંયોજકોની બદલી કરવામાં આવશે. તેમણે ગૃહને ગેરરીતિઓમાં સંડોવાયેલા કોઈ પણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.