Sat Apr 18 2026

Logo

મહારાષ્ટ્ર બજેટ: ફડણવીસે ખેડૂતો માટે 2 લાખ સુધીની દેવા માફીની કરી જાહેરાત

2026-03-06 18:44:54
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: 2026-27 માટેનું મહારાષ્ટ્ર બજેટ વિકસિત ભારતનું કલ્પના પર આધારિત હોવાનું  મુખ્ય  પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. વિધાનસભામાં બજેટ રજૂ કર્યા પછી સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે બજેટમાં 2024ની વિધાનસભા ચૂંટણી પહેલા આપેલા કૃષિ દેવા માફીના મહાયુતિના વચનનું પાલન કરવામાં આવ્યું છે. મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે.

બજેટ ભાષણમાં, ફડણવીસે પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોળકર શેતકરી કરજમાફી યોજનાની જાહેરાત કરી, જે ખેડૂતો માટે લોન માફી યોજના છે. આ યોજનાહેઠળ 30 સપ્ટેમ્બર, 2025 સુધી 2 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ કરવામાં આવશે. તેમણે નિયમિત લોન ચૂકવતા અન્ય પાત્ર ખેડૂતો માટે 50 હજાર રૂપિયાના પ્રોત્સાહનની પણ જાહેરાત કરી.

જાણકારી આપતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે બજેટમાં મૂડી ખર્ચ માટે રૂ. એક લાખનો ખર્ચ રાખવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર દેશનું નાણાકીય એન્જિન છે અને 2047 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે સરકાર મહાયુતિ દ્વારા આપવામાં આવેલા તમામ વચનો પૂર્ણ કરશે. દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું હતું કે બજેટમાં બધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને પ્રાદેશિક સંતુલન જાળવી રાખે છે. (પીટીઆઈ)