Sat Apr 18 2026

Logo

મહાપરિનિર્વાણ દિવસ: મુંબઈ સહિત 13 સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ રહેશે

2025-12-05 21:06:05
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહાપરિનિર્વાણ દિવસે રેલવે સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવા માટે મધ્ય રેલવેએ 13 મહત્વપૂર્ણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ આજથી અમલમાં આવશે. મુસાફરોને સુરક્ષિત રીતે ચઢવા અને ઉતરવા, સરળ ટ્રાફિક અને કટોકટીની સ્થિતિમાં ઝડપી પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ આજથી લઈ 7 ડિસેમ્બર, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જોકે, રેલવે બોર્ડની માર્ગદર્શિકા મુજબ વરિષ્ઠ નાગરિકો, બીમાર મુસાફરો, બાળકો અને મહિલા મુસાફરો જેમને સહાયની જરૂર હોય તેમને પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવશે.

આજથી 7 ડિસેમ્બર સુધી આ સ્ટેશનો પર સેવાઓ બંધ રહેશે - છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર સ્ટેશન 5થી 6 ડિસેમ્બર સુધી સ્ટેશનો પર સેવાઓ બંધ રહેશે - ભુસાવલ, નાસિક રોડ, મનમાડ, જલગાંવ, અકોલા, શેગાંવ, પચોરા, બડનેરા, મલકાપુર, ચાલીસગાંવ, નાગપુર.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, “મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં અનુયાયીઓની ભીડ ઉમટવાની અપેક્ષા હોવાથી 13 મુખ્ય સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી રહ્યું છે. 
જોકે, બાળકો, વરિષ્ઠ નાગરિકો, બીમાર અથવા અપંગ મુસાફરો સાથે જતા નાગરિકોને આમાંથી આ છૂટ આપવામાં આવશે." તેમણે મુસાફરોને યોગ્ય રીતે આયોજન કરવા અને નવા નિયમોનું પાલન કરવા વિનંતી પણ કરી.

આ સાથે, આ દિવસે, મધ્ય રેલવેના સ્ટેશનો પર ભીડ ઘટાડવા અને મુસાફરોને વધુ સેવાઓ પૂરી પાડવા માટે લોકલ ટ્રેનોની 13 ફેરી વધારી દીધી છે. 6 ડિસેમ્બરે લાખો નાગરિકો મુંબઈ તરફ આવે છે. દાદરમાં ચૈત્યભૂમિ આવતા નાગરિકોને કોઈ મુશ્કેલી પડે નહીં તેના માટે આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.