Wed Jun 03 2026

Logo

રણવીર સિંહના ‘ડોન 3’ વિવાદ પર કંગના રનૌતનું મોટું નિવેદન, કહ્યું - સફળતા સાથે દુશ્મનો પણ વધે છે

2026-06-03 14:27:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ ફરહાન અખ્તરની આગામી ફિલ્મ 'ડોન ૩' (Don 3) ને લઈને શરૂ થયેલા વિવાદના કારણે અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) સતત ચર્ચામાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ 'નોન કો-ઓપરેશનલ નોટિસ' જાહેર કરાયા બાદ આ મામલો વધુ ગરમાયો છે. આ નોટિસના કારણે અત્યારે બોલિવુડમાં એક નવી ચર્ચા શરૂ ગઈ છે, જેમાં ઘણા સેલિબ્રિટીઝ રણવીરના સમર્થનમાં આવ્યા છે, તો કેટલાકા FWICEને પણ સમર્થન આપી રહ્યાં છે. 

બોલિવુડની પંગા ગર્લ કંગના રનૌનું પણ મોટું નિવેદન

મહત્વની વાત એ છે કે, એક જાણીતા ફિલ્મમેકર ટી.પી. અગ્રવાલે તો ફેડરેશન વિરુદ્ધ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. હવે આ સમગ્ર વિવાદ પર બોલિવુડની પંગા ગર્લ કંગના રનૌનું પણ મોટું રિએક્શન સામે આવ્યું છે. કંગના રનૌતે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં રણવીર સિંહ અને 'ડોન ૩' વિવાદ પર ખુલીને વાત કરી છે. કંગનાએ કહ્યું, ‘મને તો ઈન્ડસ્ટ્રીમાં બધાએ બેન કરી જ રાખી છે. એક વાત સમજી લો કે જ્યારે જિંદગીમાં તમારું કદ અને તમારી હેસિયત વધવા લાગે છે, ત્યારે તમારા દુશ્મનોની સંખ્યા પણ આપોઆપ વધવા લાગે છે’. કંગાનાનું કહેવું છે કે, જ્યારે તમારૂ સફળ થઈ રહ્યાં હોવ ત્યારે તમારા દુશ્મનો વધી જાય છે. રણવીર સિંહ સાથે પણ આવું જ થઈ રહ્યું છે, તેવું કંગનાએ કહ્યું  છે. 

રણવીર સિંહના સમર્થનમાં આવી કંગના રનૌત

વધુમાં કહ્યું કે,  રણવીરે સમજવું જોઈએ કે તેમની ઈન્ડસ્ટ્રીમાં શું હેસિયત છે! વિરોધ કરનારાઓ તમારી સફળતા સાથે વધતા રહેશે, પરંતુ તેનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી’. પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા કંગનાએ કહ્યું કે, પડકારો એ સફળતાનો એક કુદરતી ભાગ છે અને આ મુશ્કેલીઓથી કોઈએ પણ નાસીપાસ થવું જોઈએ નહીં. જ્યારે તમે જીવનમાં આગળ વધો છો, ત્યારે રસ્તામાં ઘણી બધી અડચણો આવશે. બધું હંમેશા સરળ હોતું નથી. પણ કોઈ વાંધો નહીં, બધું ઠીક છે. અંતે બધું સારું જ થઈ જાય છે’.

'ભારત ભાગ્ય વિધાતા' ફિલ્મને લઈને કંગના ચર્ચામાં

એક રીતે જોવા જઈએ તો કંગનાએ જાહેરમાં રણવીર સિંહને સમર્થન આપ્યું છે, તેના પક્ષમાં આવીને ઊભી રહી છે. કંગના રનૌત અત્યારે પોતાની આગામી ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા' (Bharat Bhagya Vidhata) ને લઈને પણ ભારે ચર્ચામાં છે. મેકર્સે હાલમાં જ આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કર્યું છે, જેને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કંગનાની આ ફિલ્મ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા પર આધારિત છે, જેમાં હુમલા દરમિયાન હોસ્પિટલના સ્ટાફ અને મેડિકલ કર્મીઓએ બતાવેલી અસાધારણ બહાદુરીની વાર્તા વણી લેવામાં આવી છે. આ ફિલ્મમાં કંગનાની સાથે ગિરજા ઓક અને સ્મિતા તાંબે જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.