નવી દિલ્હીઃ ગયા મહિના દરમિયાન હરિયાણા કોંગ્રેસે ગુજરાત મોડલ અને અમદાવાદને મળતા મહત્ત્વ અંગે સવાલો ઊઠાવ્યા હતા હવે દક્ષિણ ભારતમાં તમિલનાડુમાંથી ગુજરાત મોડલ અંગે ગંભીર સવાલો કર્યાં હતા. તમિલનાડુ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ભૂતપૂર્વ પ્રમુખ અને ‘વી ધ લીડર્સ’નાં સ્થાપક કે. અન્નામલાઈએ વિકાસ માટે ગુજરાત-કેન્દ્રિત અભિગમની ટીકા કરી છે.
તમામ વિકાસ કાર્યો માટે દિલ્હી દ્વારા પહેલા ગુજરાતને જ આગળ કરવામાં આવતું હોવાથી અન્નામલાઈએ તેનો વિરોધ કર્યો અને તેમાં બદલાવ લાવવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ એક રાજ્યને દરેક ક્ષેત્રમાં આગળ કરવાની જગ્યાએ દરેક રાજ્યોને આ તક મળવી જોઈએ. વધુમાં અન્નામલાઈએ એક ઈવેન્ટમાં વિગતવાર સવાલો ઊઠાવ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા અન્નામલાઈએ કેન્દ્ર સરકારની ગુજરાત મોડલની નીતિનો ખુલીને વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત-કેન્દ્રિત અભિગમ અપનાવવામાં આવે છે તેના પર વાત કરતા અન્નામલાઈએ કહ્યું કે, ‘મોટી કંપનીઓના રોકાણ, નવી ટેકનોલોજી પ્રોડક્ટ, મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામો માત્ર એક જ રાજ્ય પૂરતા કેન્દ્રીત ના હોવી જોઈએ, તેનો ફાયદો દેશના અન્ય રાજ્યોને પણ થવો જોઈએ’.
નિર્ણય પ્રક્રિયા દિલ્હી કેન્દ્રીત થતી હોવાનો આક્ષેપ
ગુજરાત-કેન્દ્રિત અભિગમ સાથે સાથે અન્નામલાઈએ ભાજપના નિર્ણય પ્રક્રિયાનો પણ વિરોધ કર્યો છે. ભાજપની નિર્ણય પ્રક્રિયા હવે દિલ્હી કેન્દ્રીત થઈ રહી છે. એટલે કે, રાજ્યોના નિર્ણયો પણ કેન્દ્રના આદેશ પ્રમાણે લેવામાં આવી રહ્યાં છે. રાજ્ય સ્તરના નેતાઓને જાતે નિર્ણયો લેવાની સત્તા અને અધિકાર આપવા જોઈએ તેના પર ભાર મૂકતા અન્નામલાઈએ કહ્યું કે, ‘ભાજપના નિર્ણયો દિલ્હીથી કેન્દ્રીત થઈ રહ્યાં છે. જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, તેને બદલવું પડશે’.
ગુજરાત-કેન્દ્રિત મોડલમાં ફેરફાર કરવાની અપીલ
વધુમાં અન્નામલાઈએ કહ્યું કે, પ્રામાણિકપણે કહું તો તેમણે (ભાજપે) રાજ્ય સ્તરના નેતાઓને કામ કરવા માટે સશક્ત બનાવવાની જરૂર છે; દિલ્હીના વિકાસના આ ગુજરાત-કેન્દ્રિત મોડેલમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. મૂળ વાત એ છે કે, અન્નામલાઈ દ્વારા પરોક્ષ રીતે કેન્દ્ર સરકાર પર વાક્ પ્રહાર કરવામાં આવ્યાં છે. ભાજપ શાસિત રાજ્યોના નેતાઓ કેન્દ્રના આદેશ પ્રમાણે જ કામ કરે છે. જેમાં સુધાર લાવાવ માટે કહેવામાં આવ્યું છે.
ગુજરાત મોડલનો અન્નાલમાઈએ કર્યો વિરોધ
ગુજરાત મોડલ પર વાત કરતા અન્નામલાઈએ કહ્યું કે, દરેક એઆઈ કંપનીઓ ગુજરાતમાં જાય, દરેક સેમિકન્ડક્ટર કંપની પણ ગુજરાતમાં જાય, 2030 કોમનવેલ્થ ગેમ્સ પણ ત્યાં જાય, 2030 પોલીસ ખેલ પણ ત્યાં યોજાય અને 2036નો ઓલમ્પિક ગેમ પણ ગુજરાતમાં થાય! આખા ભારતનો વિકાસ માત્ર ગુજરાત મોડલ પર હોય તે સ્વીકાર્ય ના હોઈ શકે. દરેક વખતે માટે માત્ર એક જ રાજ્યને તક આપવી આ કેન્દ્રીકરણ નીતિ ભારતના વિકાસનું મોડેલ ના હોઈ શકે! આમાં બદલાવ આવવો જોઈએ અને બીજા રાજ્યોને પણ તક મળવી જોઈએ તેવું અન્નામલાઈએ જણાવ્યું હતું.
ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ અંગે કરી ખાસ વાત
ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ કેવી રીતે નિર્ણયો લે છે અને રાજ્ય સ્તરના નેતાઓ પક્ષના વિઝનને આકાર આપવામાં કેવી ભૂમિકા ભજવે છે તેના પર અન્નામલાઈએ ખુલીને વાત કરી છે. આ સાથે અન્નામલાઈએ તમિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની સરકારને વધુ સમય આપવો જોઈએ તેની પણ વાત કરી છે. મૂળ મુદ્દો એ છે કે કેન્દ્ર દ્વારા વિકાસ માટે માત્ર એક જ રાજ્યને વધારે તક આપવામાં આવે છે તેના પર અન્નામલાઈએ ભાર મૂક્યો અને પોતાના રાય આપી છે.