નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ પ્રવાસીઓની સુવિધા માટે અનેક પાસા પર પ્રાથમિકતાના ધોરણે કામ કર્યું છે. ખાસ કરીને ટ્રેનની સ્પીડ અને આરામદાયક સફર માટે ટ્રેનમાં પણ અનેક પ્રકારની સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવી છે. હવે ભારતીય રેલવે વિભાગે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે યાત્રાને વધારે સુરક્ષિત અને આરામદાયક બનાવી દેશે. જન વિશ્વાસ અધિનિયમ 2026 અંતર્ગત રેલવે એક્ટની કલમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી ટ્રેનમાં ધુમ્રપાન કરવા પર, વગર લાયન્સે સામાન વેચવા પર અને ભીખ માગવા પર આકરી કાર્યવાહી થશે. આ નિર્ણયનો હેતુ પ્રવાસીઓની સુવિધાને વધારે સુરક્ષિત કરવાનો છે. જો કોઈ આવું કરતા પકડાશે તો આર્થિક દંડ પણ ભોગવવો પડશે.
યાત્રીઓને મળશે ફાયદો
આ નવા નિયમ અંતર્ગત પ્રવાસીઓનો અનુભવ વધારે આરામદાયક બને એ દિશામાં એક મોટું પગલું માનવમાં આવી રહ્યું છે.રેલવે તંત્રનો એવો પ્રયાસ છે કે, યાત્રીઓને સ્વચ્છ, શાંતિ તથા સુરક્ષિત અનુભવ થાય.જે વેપારીઓ પાસે જે તે સામાન વેચવા માટેનું લાયસન્સ છે એ લોકો જ ટ્રેનમાં વેપાર કરી શકશે. આ સિવાયના કોઈ લોકોને ટ્રેનમાં જે તે સામાન વેચવા માટેની કોઈ રીતે મંજૂરી નહીં મળે. આ નિયમને કડક પણે અનુસરવામાં આવશે. આ માટે કર્મચારીઓને પણ તાલિમ આપવામાં આવી રહી છે. ઘણા પ્રવાસીઓ રેલવે વિભાગના આ નિયમના વખાણ કરી રહ્યા છે, આ નિર્ણયને વધાવી રહ્યા છે. આનાથી પ્રવાસ વધારે સુરક્ષિત, શાંતિભર્યો અને સ્વચ્છ રીતે થશે. વગર લાઇસન્સે કોઈ સામાન વેચશે તો આર્થિક દંડ ભરવો પડશે, રેલવે એક્ટની કલમ 144 અંતર્ગત સંશોધન અંતર્ગત આવો સામાન વેચવો અને ભીખ માગવી પ્રતિબંધિત છે. પહેલીવાર નિયમ તોડ્યો તો 2000 રૂપિયા તાત્કાલિક દંડ ભરવો પડશે.
કાયદેસરની કાર્યવાહી થશે
જો કોઈ આ પેનલ્ટી નહીં ભરે તો કોર્ટમાં એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ સાથે 3 મહિનાની જેલની પણ જોગવાઈ છે. આ સિવાય 5000 રૂપિયા વધારાના દંડ પેટે પણ દેવા પડશે. ચારવાર નિયમ તોડ્યા બાદ એક વર્ષની કેદ અને 5000 રૂપિયાના દંડની જોગવાઈ છે, જેમાં ત્રણ મહિના સુધી જેલમાં રહેવું ફરજિયાત છે. રેલવે કર્મચારી આવા લોકોને તાત્કાલિક ધોરણે જે તે સ્ટેશનથી દૂર પણ કરી શકશે.આ પ્રકારની સત્તા આપવામાં આવી છે. આ નિયમ અંગે અને નિર્ણય અંગે રેલવે વિભાગનું એવું કહેવું છે કે, ધુમ્રપાનથી માત્ર પ્રવાસીઓને જ નહીં નુકસાન થતું નથી. પણ ધુમ્રપાનને કારણે આગ લાગવાનું પણ જોખમ રહે છે. આવું કરવા પર નવા નિયમ અંતર્ગત 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે. એટલું જ નહીં પ્રવાસી પાસેથી ટિકિટ કે પાસ પણ જપ્ત કરી લેવામાં આવશે. ટ્રેનમાંથી પણ ઊતારી શકે એવી સત્તા રેલવેના અધિકારીઓને આપવમાં આવી છે.