Sat Aug 29 2026

Logo

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રાજ્યમા સમાન પદ્ધતિથી નિકાલ ભૂમિ સીમાંકન કરાશે

2026-03-11 19:07:00
Author: Chandrakant Kanoja
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે રાજ્યમા સમાન પદ્ધતિથી નિકાલ ભૂમિ સીમાંકન કરાશે

ગાંધીનગર : ગુજરાત સરકારે રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓ અંગે મોટો નિર્ણય લીધો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે  એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ ધોરણે નિકાલ ભૂમિ સીમાંકન હાથ ધરવા માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો મહેસુલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા છે. જેમાં ખેતીની જમીનોની માપણીમાં પ્રમોલગેશન પછી ખેડૂતોની વાંધા અરજીઓનો નિકાલ પારદર્શક અને ચોકસાઈપૂર્વક રીતે કરીને ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસને વેગ આપવા સાથે ગ્રામીણ ખેડૂતોના હિતોની રક્ષા કરવાનો ખેડૂત કલ્યાણલક્ષી અભિગમ આ નિર્ણયથી અપનાવ્યો છે. 

ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવા સૂચના 

સીએમ ભૂપેન્દ્ર પટેલે  ભૂમિ સીમાંકન અંતર્ગત રાજ્યના જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવા અને જિલ્લાની ભૂમિ સીમાંકન કામગીરીની સમીક્ષા કરવાની સૂચનાઓ આપી હતી. આવી જિલ્લા સ્તરીય સમિતિમાં કલેકટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર, SLR/નાયબ નિયામક જમીન દફતર, પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, TDO, જમીન સંપાદન અધિકારી, સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી કે અન્ય સંપાદક સંસ્થાના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે. 

સાત જેટલી અલગ-અલગ કેટેગરી નિયત કરવામાં આવી

તેમજ ભૂમિ સીમાંકન અંતર્ગત પ્રમોલગેશન બાદ માપણીની ક્ષતિ સુધારણા માટે આવેલી અરજીઓના આયોજનબદ્ધ અને સુચારૂં નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશોને પગલે મહેસુલ વિભાગ દ્વારા સાત જેટલી અલગ-અલગ કેટેગરી નિયત કરવામાં આવી છે. તદ્અનુસાર, (1) સરકારી/જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ ન હોય તથા કોઇ વાંધા ઉપસ્થિત થયેલ ન હોય (2) સરકારી/જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ ન હોય તથા કોઇ વાંધા બાકી ન હોય તથા કોઇ ખાતેદારને વાંધો ન હોય (3 ) સરકારી/જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ ન હોય તથા વાંધા અરજીઓ પેન્ડિંગ હોય (3A) સરકારી/જાહેર હિતની જમીનોમાં ઘટાડો થયેલ હોય તથા વાંધા અરજીઓ પેન્ડિંગ હોય (4 ) ગામના ૩૦%થી વધારે સરવે નંબરોમા કબ્જા ફેરફાર(અવલ-દવલ) (5 ) ગામના વાંધાઓ એક વિસ્તાર સુધી સિમીત હોય (6 ) ૩૦%થી વધુ નંબરોમાં ક્ષેત્રફળમાં ફેરફાર તથા કાસ્કેડીન્ગ (Cascading) ઇફેક્ટ તથા આકૃતિમાં વધુ ફેરફાર (7) પ્રમોલગેશન થયેલ ન હોય- જેવી કેટેગરી નિયત કરવામાં આવેલી છે.

ત્વરાએ નિવારણ કરવા અધિકારીઓને સૂચના 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂમિ સીમાંકન અંતર્ગતના માપણી ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોનું ત્વરાએ નિવારણ થાય એટલું જ નહિ, રજૂઆતકર્તાને કચેરીએ જવું જ ન પડે તે માટે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારોને વધુ સત્તાધિકારો આપીને મોબાઇલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ દ્વારા ગુજરાત જમીન મહેસુલ અધિનિયમની કલમ 119, 120 તેમજ જમીન મહેસુલ નિયમ, 1972ના નિયમો 21(1), 21(2) અને 21(3) મુજબ કાર્યવાહી કરીને નિવારણ લાવવા પણ સૂચનાઓ આપી છે.

મહેસુલ વિભાગને સૂચનાઓ આપી

મુખ્યમંત્રીએ આવા માપણી ક્ષતિ સુધારણાના મહત્તમ પ્રશ્નોનું નિરાકરણ ભૂમિ સીમાંકનમાં રાજ્યભરમાં એકસમાન કાર્યપદ્ધતિએ ઝડપી અને પારદર્શી રીતે લાવીને લોકોને સુશાસનની સચોટ અને અસરકારક અનુભૂતિ થાય તેવી કામગીરી માટે મહેસુલ વિભાગને સૂચનાઓ આપી છે.