Fri Apr 17 2026

Logo

ચૂંટણી પંચનું મહાઅભિયાન: 9 રાજ્યોમાં 1.70 કરોડ મતદારો ઘટ્યા, જાણો ગુજરાતમાં કેટલા નામ કમી થયા?

2026-02-22 08:52:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ (EC) દ્વારા દેશભરમાં પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે 'વિશેષ ગહન પુનરીક્ષણ' (SIR) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ મતદાર યાદીમાંથી ક્ષતિઓ દૂર કરી તેને અપડેટ કરવાનો છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ, 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ફેરફાર લોકશાહીની પાયાની પ્રક્રિયાને વધુ સચોટ અને વિશ્વસનીય બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે.

9 રાજ્યોમાં 1.70 કરોડ મતદારોના નામ કમી થયા

શનિવારે જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, ગત 27 ઓક્ટોબરથી શરૂ થયેલી SIR પ્રક્રિયા બાદ આ રાજ્યોમાં કુલ મતદારોની સંખ્યા 21.45 કરોડથી ઘટીને 19.75 કરોડ થઈ ગઈ છે. એટલે કે, કુલ 1.70 કરોડથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા મોટા રાજ્યો ઉપરાંત કેરળ, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ 'નેટ ચેન્જ' છે, જેમાં નવા ઉમેરાયેલા પાત્ર મતદારો અને દૂર કરાયેલા અપાત્ર મતદારોની સંખ્યાને એડજસ્ટ કરવામાં આવી છે.

ગુજરાતમાં સૌથી વધુ 68 લાખથી વધુ નામ કટ થયા

આ આંકડાઓમાં ગુજરાત રાજ્ય સૌથી મોખરે છે, જ્યાં મતદારોની સંખ્યામાં રેકોર્ડબ્રેક 13.40% નો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં કુલ 68,12,711 મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, જેના કારણે રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા 5.08 કરોડથી ઘટીને હવે 4.40 કરોડ થઈ ગઈ છે. ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં 34.25 લાખ, રાજસ્થાનમાં 31.36 લાખ અને છત્તીસગઢમાં અંદાજે 24.99 લાખ નામોની કાપણી કરવામાં આવી છે. દક્ષિણ ભારતના કેરળમાં પણ 8.97 લાખથી વધુ નામો દૂર થયા છે.

કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ અને અન્ય રાજ્યોમાં પ્રક્રિયા

કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં અંદામાન અને નિકોબારમાં 52,364, પુડુચેરીમાં 77,367 અને લક્ષદ્વીપમાં 206 મતદારોના નામ દૂર કરાયા છે. ચૂંટણી પંચની આ શુદ્ધિકરણ ઝુંબેશ હજુ અટકી નથી; હાલમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત 12 રાજ્યોમાં આ પ્રક્રિયા ચાલી રહી છે, જેના આંકડા આ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે.

રાષ્ટ્રવ્યાપી મતદાર યાદી ચકાસણી અભિયાનનો આગામી તબક્કો આ વર્ષે એપ્રિલ મહિનામાં શરૂ થવા જઈ રહ્યો છે. જોકે, ચૂંટણી પંચે નાગરિકોને ખાતરી આપી છે કે મતદાર યાદી અપડેટ કરવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જો કોઈ પાત્ર નાગરિકનું નામ ભૂલથી રહી ગયું હોય અથવા નામમાં સુધારો કરાવવો હોય, તો તેઓ ગમે ત્યારે ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી અરજી કરી શકે છે. આ અભિયાનનો હેતુ માત્ર નામો ઘટાડવાનો નહીં, પરંતુ ડુપ્લીકેટ અને મૃત મતદારોના નામ હટાવી યાદીને ક્ષતિરહિત બનાવવાનો છે.